ભાભર તાલુકામાં છેલ્લા ૪ દિવસ દરમિયાન ૧૪ ઇંચ કરતાં પણ વધુ અતિભારે વરસાદ નોંધાયો છે. આ કુદરતી આપદાના કારણે ભાભર તાલુકાના તમામ ગામડાઓમાં ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં બે-બે, ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાથી મોટા પાયે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અને ભારે પ્રમાણમાં જમીન ધોવાણ પણ થયું છે. ગત વર્ષે પણ ભાભર, વાવ અને સુઈગામ તાલુકામાં અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની હતી. તે સમયે સરકારે વળતર અને કેશડોલ્સ (Cash Doles) આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કમનસીબે ઘણા બધા પાત્ર ખેડૂતો લાભથી વંચિત રહી ગયા હતા.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભાભર તાલુકાના તમામ સરપંચઓ દ્વારા એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રજૂ થયેલા આક્રોશ અને દુઃખને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. આ પત્ર ભાભર તાલુકા પંચાયત ખાતે વિધિવત રીતે આપીને ખેડૂતો અને સરપંચોની મુખ્ય માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી છે.





