કોઝીથી એરોમાં સર્કલ સુધીના વૃક્ષો વિકાસની ઝપેટે ચડી ગયા
પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાં એરોમાં સર્કલ થી કોઝી સુધીનો માર્ગ આઠ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે વિકાસની ઝાકમઝોળ વચ્ચે 25 થી 30 વર્ષ જુના વૃક્ષો વિકાસની ઝપેટે ચડી જતા તેને કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાલનપુરના એરોમા સર્કલ થી કોઝી સુધીના સર્વિસ રોડ પર આવેલા અંદાજે 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષો કાપી નાખવામાં આવતાં પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ વીજ લાઇન કે અન્ય પ્રકારનો અવરોધ ન હોવા છતાં વર્ષો જૂનાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વૃક્ષો કપાતા મુસાફરો તેમજ આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કુદરતી છાંયડાથી વંચિત બન્યા છે. ઉનાળાની ગરમીમાં આ વૃક્ષો રાહદારીઓ અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ હતા. સ્થાનિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, "વૃક્ષ ઉછેરવામાં 25 વર્ષ લાગ્યા, જ્યારે તેને કાપવામાં માત્ર 5 મિનિટ લાગી." આ ઘટનાને લઈને પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો એ શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરીને હરિયાળી જાળવવા માંગ કરી છે.





