માનપુરના પાટીયા પાસે ટ્રેઇલરની ટક્કરે એકનું મોત, એક ગંભીર — હવે તંત્ર ક્યારે જાગશે ?
હાઈવે સમારકામ વચ્ચે સુરક્ષાના અભાવના ગંભીર આક્ષેપો, સ્થાનિક લોકોમાં આક્રોશ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી–થરા નેશનલ હાઇવે પર આવેલા માનપુર ગામના પાટિયા પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર હદે ઘવાયો હતો. સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માર્ગ સલામતી અંગે સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ ડીસા–રાધનપુર નેશનલ હાઇવે પર સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી શિહોરીથી થરા તરફનો માર્ગ હાલ એકમાર્ગીય બનાવવામાં આવ્યો છે. જેના કારણે ભારે વાહનોની અવરજવર વધી રહી છે અને ઓવરટેકિંગ જેવી જોખમી સ્થિતિઓ સર્જાઈ રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.આ દરમિયાન શિહોરીથી થરા તરફ જઈ રહેલી બાઇકને પાછળથી આવી રહેલા ટ્રેઇલરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર પાછળ બેઠેલા 50 વર્ષીય સોવનજી રામાજી ઠાકોર (રહે. ઉંદરિયાવાસ, શિહોરી) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કલ્પેશ લીલાભાઈ પંચાલ (રહે. શિહોરી) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શિહોરીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.





