મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ભાણાવાસ ગામમાં દૂધ ઉત્પાદકો અને સ્થાનિક ડેરીના સત્તાધીશો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. ડેરીના વહીવટકર્તાઓ દ્વારા સહકારી ધારાધોરણોનો ભંગ કરી છેલ્લા ચાર દિવસથી પશુપાલકોનું રોજિંદુ આશરે ૩૦૦ થી ૪૦૦ લીટર દૂધ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. સંચાલકોની આ સરમુખત્યારશાહી અને તેના કારણે થઈ રહેલા આર્થિક નુકસાનથી રોષે ભરાયેલા પશુપાલકોએ પોતાનું મહામૂલું દૂધ રસ્તા પર વહાવી દઈને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ સમગ્ર વિવાદનું મૂળ તાજેતરમાં યોજાયેલી ડેરીની સાધારણ સભા હોવાનું કહેવાય છે. પશુપાલકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પોતાના વાજબી પ્રશ્નોની રજૂઆત કરવા સભામાં પહોંચ્યા ત્યારે ડેરીના પ્રમુખે ઉશ્કેરાઈ જઈને તેમની સાથે અત્યંત અપમાનજનક વર્તન કર્યું હતું અને તેમને ડેરી પરિસરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાની અદાવત રાખીને સત્તાધીશોએ દૂધ લેવાનું બંધ કરી દેતાં, હાલમાં દૂધ ઉત્પાદકોએ ઊંચા ભાડા ચૂકવીને ખાનગી વાહનો મારફતે અન્ય સ્થળે દૂધ પહોંચાડવાની ફરજ પડી રહી છે.
આ ઉપરાંત, સ્થાનિક દૂધ ઉત્પાદકોએ ડેરીના વહીવટ અંગે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, અહીં લોકશાહી પ્રક્રિયાનું અને સહકારી નિયમોનું સંપૂર્ણપણે હનન થઈ રહ્યું છે. કાયદા મુજબ દર પાંચ વર્ષે ચૂંટણી થવી ફરજિયાત છે, પરંતુ ભાણાવાસ ડેરીમાં છેલ્લા ૪૦ વર્ષથી કોઈ જ ચૂંટણી કે સત્તા પરિવર્તન જોવા મળ્યું નથી. વર્તમાન શાસકો નિયમોની ઐસીતૈસી કરીને ગેરકાયદેસર રીતે દાયકાઓથી સત્તા પર કબજો જમાવીને બેઠા હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. પોતાના હકો પર તરાપ વાગતી જોઈને અને સત્તાધીશોની મનમાનીથી ત્રસ્ત પશુપાલકોએ હવે ન્યાય મેળવવા માટે ઉચ્ચ કક્ષાના દરવાજા ખખડાવ્યા છે. પીડિત ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સહકારી કમિશનર સમક્ષ લેખિતમાં ધા નાખી છે. તેમની સ્પષ્ટ માંગણી છે કે, હાલની કમિટીને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને કસૂરવાર સંચાલકો સામે કડકમાં કડક કાનૂની પગલાં લઈ ગરીબ પશુપાલકોને ન્યાય પૂરો પાડવામાં આવે.





