બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામપુરા (દામા) ગામે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. ૧૫માં નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલો મંજૂર કરવાની અવેજમાં ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા તલાટી-કમ-મંત્રી એસીબીના સકંજામાં આવી ગયા છે.
રામપુરા (દામા) ગામમાં ૧૫માં નાણા પંચ યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યા હતા. આ કામોના બિલો મંજૂર કરવા માટે ગામના તલાટી-કમ-મંત્રી કીર્તિકુમાર રામાભાઇ પ્રજાપતિએ ટકાવારી મુજબ રૂપિયા ૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ રામપુરા (દામા) ગ્રામ પંચાયત કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ૧૫,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા.
લાંચની રકમ સ્વીકારતા જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તલાટીને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની તમામ રકમ રિકવર કરી હતી.આ સફળ ટ્રેપની કામગીરીમાં નીચે મુજબના અધિકારીઓ સામેલ હતા. જેમાં ટ્રેપિંગ અધિકારી એલ.એસ.ચૌધરી (પી.આઈ., બનાસકાંઠા એસીબી) સુપરવિઝન અધિકારી શ્રી કે. એચ. ગોહિલ (મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ) ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, એસીબી) સરકારી કામ માટે લાંચ માંગતા કર્મચારીઓ સામે એસીબીની આ કડક કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.





