રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

બનાસકાંઠા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
બનાસકાંઠા જિલ્લાના માર્ગો, બ્રિજો, જાહેર સેવાઓની ઇમારતો, ડેમો સહિતના મુદ્દાઓ અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવઓને જિલ્લાકક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ મોના ખંધારે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. સચિવએ મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રીજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો, શાળાઓ, કોલેજ, પાણીની ટાંકીઓ, ડેમ, તળાવો, આંગણવાડીઓ, ઓફિસ, શોપિંગ સેન્ટર, રોડ - રસ્તા, સ્વછતા વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવએ અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાંઓના રોડ- રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા. તેમણે જર્જરિત મકાન અને ટાંકીઓને તત્કાલિક ઉતારી લેવા તથા જરૂરી રીપેરિંગ, મેઈન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રોડ અને બ્રિજ પર તેની ડિઝાઇન મુજબ જ વાહન વ્યવહાર પસાર થાય, ઓવર બ્રિજ પર પાણી ના ભરાય, શહેરના માર્ગો પર ભુવા ના પડે તથા સ્વચ્છતા જળવાઈ રહે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સમીક્ષા કરાઈ હતી. પ્રભારી સચિવએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી. જોખમી હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. પ્રભારી સચિવએ કાણોદર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે સ્થળ વિઝીટ કરીને વર્ગખંડો તથા મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ, આર.ટી.ઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સંબંધિત સમાચાર