ધાનેરા તાલુકાના વાછડાલ ગામે આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામના પાંતરોડ (ચૌધરી) વાસમાં આવેલા એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં સમગ્ર પાંતરોડ પરિવારનું આસ્થાનું કેન્દ્ર એવું શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર પણ બળીને ખાખ થઈ ગયું છે.
સવારે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં વાછડાલ ગામના પાંતરોડ વાસમાં આવેલા એક ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘર લાકડા અને નળિયાનું બનેલું હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પાણીની ડોલો અને ટ્રેક્ટર પાછળ પાણીના મશીન જોડી આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ૧૧૨ પોલીસ કાફલો, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ સ્થળ પર પહોંચ્યું હતું.
વછડાલ ગામના પાંત્રોડ વાસમાં ઠેર-ઠેર ગાંડા બાવળોનું સામ્રાજ્ય હોવાથી ફાયર ફાઈટરને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ભારે હાલાકી પડી હતી. ફાયર ફાઈટરને ૨૦ મિનિટ સુધી અલગ-અલગ માર્ગે ફેરવવું પડ્યું હતું અને અંતે ઘરથી ૧૫૦ ફૂટ દૂર રાખી લાંબી પાઈપો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો પંચાયતે સમયસર સાફ-સફાઈ કરાવી હોત, તો આગ પર વહેલી તકે કાબુ મેળવી શકાયો હોત અને નુકસાન ઘટાડી શકાયું હોત.
આ આગની વઘારમાં બે ઘરોને નુકસાન થયું છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે પરિવારના કુળદેવી માતાજીનું મંદિર પણ આ મકાનમાં હોવાથી તે સંપૂર્ણ નાશ પામ્યું છે. ગ્રામજનોમાં પંચાયત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે પંચાયત વેરા ઉઘરાવે છે અને સ્વચ્છતાની ગ્રાન્ટો આવે છે, છતાં ગામમાં પાયાની સુવિધાઓ અને સાફ-સફાઈનો અભાવ છે.જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠાવી ગામમાં તાત્કાલિક ગાંડા બાવળની સફાઈ અભિયાન હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.





