![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-363.jpg)
પોસ્ટ ઓફિસે તેના બચત ખાતામાં કર્યા ત્રણ મોટા ફેરફાર
નવી દિલ્હી, પોસ્ટ ઓફિસના દેશભરમાં કરોડો ગ્રાહકો છે જેમના માટે તે વિવિધ યોજનાઓ ચલાવે છે. બેંકોની જેમ તમે પણ પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો, જેમાં તમને સુરક્ષાની સાથે સારા રિટર્નની ગેરંટી પણ મળે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તાજેતરમાં, પોસ્ટ ઓફિસમાં આ ખાતાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ ઈ-નોટિફિકેશન જારી કરીને નાણા મંત્રાલયે પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ફેરફાર અંગે માહિતી આપી છે.
નોંધનીય છે કે આ તમામ ફેરફારો ખાતાધારકની સુવિધા માટે કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા જઈ રહ્યા છો, તો તમારે આ નિયમો વિશે જાણવું જરૂરી છે. નોંધપાત્ર વાત એ છે કે, અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો સાથે ખાતું ખોલવાની મંજૂરી આપતી હતી, જે હવે વધારીને ત્રણ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે. સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ ૨ને બદલે ફોર્મ ૩ સબમિટ કરવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા ૫૦ રૂપિયા ઉપાડી શકશે. અગાઉ ૫૦ રૂપિયા માટે પણ ફોર્મ ૨ ભરીને અને પાસબુક પર સહી કરીને પૈસા ઉપાડવા પડતા હતા. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ સ્કીમ હેઠળ હવે ૧૦મા દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી રકમ પર ૪ ટકા વ્યાજ દરનો લાભ મળશે. આ સાથે, આ વ્યાજની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે. બીજી તરફ, જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં ખાતાધારકને તે જ મહિનામાં વ્યાજની રકમ મળશે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હતું.