કોંગ્રેસના શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? : વડાપ્રધાન મોદી
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ તેલંગાણાના કરીમનગર જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગઈકાલે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે.’ કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને દલિતોનો અનામતનો અધિકાર છીનવી લેવા માંગે છે. કોંગ્રેસ મુસ્લિમ સમુદાયને તેમનું આરક્ષણ આપવા માંગે છે. કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ન તો કોંગ્રેસનું વિઝન છે કે ન તો તેમનો એજન્ડા. કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માંગે છે. આ ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. એમને કહ્યું કે, ‘છેલ્લા 5 વર્ષોથી કોંગ્રેસના શહેઝાદા દિવસ-રાત એક જ જાપ જપતાં હતા. તેમનો રાફેલનો મુદ્દો જ્યારથી ઉભો થયો ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં ‘5 ઉદ્યોગપતિઓ’ વિશે વાત કરવાનું શરૂ કર્યું…પછીથી. તેણે ‘અંબાણી-અદાણી’નું નામ જપવાનું શરૂ કર્યું પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે…શા માટે? હું તેમને પૂછવા માંગુ છું કે શહેજાદા એ જણાવી દે કે એમને ‘અંબાણી-અદાણી’ પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે..”