![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/02-1.jpg)
કડીમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
કડી શહેરના તંબોળીવાસમાં મધરાત્રીએ અચાનક જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર દટાયો હતો. મધરાત્રીએ અચાનક જ ધડામ દઈને ધાબું પડતા જોરદાર અવાજ અવતા આજુબાજુમાંથી પાડોશીઓ દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવી ઘરમાંથી પરિવારને બહાર કાઢ્યો હતો. જેમાં માતા-પિતા તેમજ બાળકને ઇજાઓ પહોંચી હતી. તેઓને કડીની ભાગવિધિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.કડી શહેરના તંબોળીવાસમાં બહુચર માતાજીના મંદિરની બાજુમાં આવેલા મોહલ્લામાં રહેતા અને શાકમાર્કેટમાં મજૂરીકામ કરતા ઇમરાનભાઈ કલાલ ઉંમર વર્ષ આશરે 35 જેઓ મજૂરી કરીને સાંજે પોતાના ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે જમી પરવારીને મકાનના છેલ્લા રૂમમાં પરિવાર સાથે રાત્રે સૂઈ રહ્યા હતા. મધરાત્રીએ અચાનક જ જર્જરિત મકાનની છત ધડાકાભેર ધરાશાયી થતા ભાગદોળ મચી જવા પામી હતી. ધડાકો થતાં આજુબાજુ મોહલ્લામાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા.
કડીના તંબોળીવાસમાં ગતરાત્રીએ મકાન ધારાશાયી થવાની ઘટના સામે આવી હતી. ઇમરાનભાઈ તેમજ તેમના પત્ની નજુબેન અને 8 વર્ષનો પુત્ર અમન પોતાના મકાનમાં સુઈ રહ્યો હતો. જ્યાં ધડાકાભેર મકાનની છત સુઈ રહેલા પરિવાર ઉપર પડતા લોકો એકઠાં થઈ ગયા હતા. તેમના ઘરનો દરવાજો બહારથી બંધ હાલતમાં હોવાથી લોકોએ મકાનનું લોક તોડીને મકાનની અંદર પ્રવેશ કરી નીચે દટાયેલ પરિવારને બહાર કાઢ્યો હતો.પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં ઇમરાન કલાલ અને તેમની પત્નીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ તેમના 8 વર્ષના પુત્ર અમનને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.તંબોળીવાસમાં મકાનની છત ધરાશાયી થતા મધરાત્રીએ નીંદર માણી રહેલા પરિવાર છતની નીચે દટાયો હતો. મોહલ્લામાં રહેતા પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડનાર ઈસ્માઈલ મન્સૂરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું મારા ઘરે રાત્રિએ સુવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે છોકરાની મમ્મી બૂમાબૂમ કરવા લાગી હતી અને મારા છોકરાને બચાવો-બચાવો તેવું મને સંભળાતા હું તથા અન્ય લોકો દોડી આવ્યા હતા. ત્યારે મકાનનો દરવાજો બંધ હતો જેથી મકાનનું લોક તોડીને અમે લોકોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ અન્ય લોકોએ ઘરના ધાબા ઉપર ચડીને દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં છોકરાને બહુ જ વાગ્યું હતું.તંબોળીવાસમાં અનેક મકાનો જર્જરીત હાલતમાં જોવા મળ્યા હતા. જેથી મકાનો ધરાસાયી થવાની સંભાવના જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જર્જરીત મકાનોને ઉતારવામાં નહીં આવે તો અનેક મકાનો પડવાની શક્યતા જોવા મળી રહી છે. તંબોળીવાસમાં મકાન ધરાશાયી થતાં મહોલ્લાના લોકો ભયના મારે ઘરના બહાર નીકળી આવ્યા હતા.