![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ઊંઝામાં-દીકરીને-મળવા-hed.jpg)
ઊંઝામાં દીકરીને મળવા આવેલ બે વેવાઈ પરિવારો વચ્ચે મારામારી : બન્ને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી
ઊંઝા શહેરના ઐઠોર ચોકડી ખાતે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી નગર હુડકોમાં દીકરીને મળવા આવેલ બે વેવાઈ પરિવારો વચ્ચે બબાલ થતાં ઉશ્કેરાયેલા બન્ને પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જેમાં ઊંઝા પાલિકાના કોર્પોરેટર સહિત ચાર જણાને ઈજાઓ પહોંચી હતી. તેમજ ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે બન્ને પક્ષો સામે સામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો અનુસાર ઊંઝા હુડકો ખાતે જ્યોત્સના ઉર્ફે ગૌરી અજયભાઈ લવજીભાઈ અને તેનો પરીવાર પોતાની પુત્રી આરાધ્યાને મળવા માટે આવ્યા હતા. જ્યાં તેનો પતિ અજય હાજર હોઇ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેણીને ગડદાપાટુંનો મારમારી ઝપાઝપી કરી તેમજ તેણીના પિતા પર લાકડી વડે હુમલો કરી ગડદાપાટુંનો મારમારી તલવાર લઈ આવી ગાડીના કાચ તોડી નાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસે જ્યોત્સનાબેનના નિવેદનના આધારે અજય લવજીભાઈ પરમાર, પ્રદીપ લવજીભાઈ પરમાર, કાજલબેન લવજીભાઈ પરમાર કોર્પોરેટર ઊંઝા પાલિકા તેમજ વાલીબેન લવજીભાઈ પરમાર તમામ રહે.લાલબહાદુર શાસ્ત્રી નગર હુડકો સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી તરફ વાલીબેન લવજીભાઈ પરમારે આપેલ ફરીયાદ મુજબ અમદાવાદથી ચંપાબેન સહિતનાં ઇસમો આવી અમારી ભાણીને લેવાં આવ્યા છીએ તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી તેમજ કાજલને ઇજાઓ પહોંચાડી ગાડીમાંથી તલવાર લઈ આવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી સામાન્ય ઈરાદો પાર પાડવાના હેતુથી મારામારી કરી હતી. આ બનાવ સંદર્ભે વાલીબેને ઊંઝા પોલીસ સ્ટેશનમાં ચંપાબેન કિશનભાઇ શેખાણી, જ્યોત્સના ઉર્ફે ગૌરીબેન અજયભાઈ, વિશાલ કિશનભાઇ, લલિતભાઈ બાબુભાઈ વાઘેલા તમામ.રહે અખબાર નગર, શિવમ એપાર્ટમેન્ટ, અમદાવાદ કમળાબેન છગનભાઈ મકવાણા રહે.કાંસા તા.જી.પાટણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.