
મહેસાણામાં શોર્ટસર્કિટ થતાં આગ, પરિણિતાનુ રૂમમાં જ મોત
મહેસાણા
લોકડાઉનની સ્થિતિમાં રહીશો ઘરની સફાઇમાં લાગ્યા છે. જેમાં મહેસાણાની પરિણિતા આગની લપેટમાં આવી જતાં મોતને ભેટી છે. શોર્ટસર્કિટ થતાં રૂમમાં જ મહિલા સળગી ગઈ હતી. ઘરના ઉપરના રૂમમાંથી મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. એસી સાફ કરતા વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા વચ્ચે મહિલાના મૃતદેહ પાસેથી દિવાસળી પણ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
મહેસાણા શહેરની નંદનવન સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું આગની દુર્ઘટનામાં મોત થયુ છે. નિરાલી મહિપાલ સુથાર નામની પરિણિતા ઘરની સફાઇ દરમ્યાન એસી પાસે ગઈ હતી. જ્યાં સફાઇ કરતાં અચાનક વીજ કરંટ લાગતાં આગની જ્વાળાઓમાં આવી હતી. અકસ્માતે મોતની વાત દરમ્યાન મહિલાના મૃતદેહ પાસેથી દિવાસળી પણ મળી આવી હોઇ અગ્નિસ્નાન કર્યું હોવાની આશંકા બની છે. આવી સ્થિતિમાં પરિણિતાના મોતને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
લોકડાઉનની સ્થિતિમાં પોતાના જ ઘરમાં મહિલાનું શંકાસ્પદ મોત નિપજ્યું હોઇ ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. મોત કે આત્મહત્યા એ અંગે ભારે મંથન કરવા સમાન બન્યું છે. જોકે નિરાલીના મોતને કારણે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હોઇ આભ ફાટી પડ્યું છે