![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/255Untitled.jpg)
સુરતમાં વેવાઈ-વેવાણ ૧૬ દિવસ ઉજ્જૈનમાં રહ્યા બાદ ઘરે આવી ૩૪માં દિવસે ફરી ભાગી ગયા
સુરતઃગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી ૧૬ દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ વેવાઈ વેવાણને ભુલી ન શકતાં આખરે ૨૯મી ફબ્રુઆરીએ ફરી ભાગી ગયા અને નવેસરથી સંસાર માંડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
કતારગામમાં રહેતા વેવાઈ સુરેશભાઈ નવસારીમાં સાસરીયે રહેતા વેવાણ સોનીબહેન સાથે નાસી ગયાં હતાં. નાસી ગયા બાદ પરત ફર્યા તેમાં વેવાણનું વિશ્વ બદલાઈ ગયું. પતિએ સાથે રાખવાની ના પાડતાં વેવાણ કામરેજમાં પિયર રહેતા હતાં. આ દરમિયાન વેવાઈને તેઓ ફોન કરતાં રહેતા હતાં. જેથી વેવાઈ તેની સાથે જવા તૈયાર હતાં. પરંતુ સમાજમાં બદનામી થવાના ડરે લોકો વેવાઈને સમજાવી રહ્યાં હતાં પરંતુ આખરે તેઓ ના માન્યા અને વેવાણને લઈને ફરી અલગ રહેવા જતાં રહ્યાં.
સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ વેવાઈ સુરેશભાઈએ આ વખતે વેવાણ સોનીબેનને લઈને અન્ય શહેરમાં ભાગી જવાની જગ્યાએ સુરતમાં જ રહેવાનું પસંદ કર્યું છે. વરાછા વિસ્તારમાં વેવાઈ અને વેવાણે મકાન ભાડે રાખીને નવી ઈનિંગની શરૂઆત કરી છે.
વેવાઈ વેવાણ ૧૬ દિવસ સુધી નાસતા ફરતાં રહ્યાં હતાં. ૨૫ વર્ષ અગાઉનો પ્રેમમાં દીકરા દીકરીના લગ્ન નક્કી થયા બાદ તૂટવાની અણીએ આવતાં સંબંધ તૂટવાના ડરે સમાજમાં થનારી બદનામીથી બચવા નાસી ગયા હોવાનું પરત આવ્યા બાદ પોલીસમાં નિવેદન આપતાં વેવાઈએ જણાવ્યું હતું કે, ૧૬ દિવસ સુધી તેઓ ઉજ્જૈનના ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા જ્યાં તેમને લોકેશનના આધારે શોધી લેવાયા બાદ સમજાવટથી પરત ફર્યા હતાં.જે તે વખતે વેવાણ વિજલપોર પોલીસમાં જ્યારે વેવાઈ કડોદરા પોલીસ મથકે હાજર થયાં હતાં.
પોલીસમાં નિવેદન આપતાં વેવાઈ સુરેશભાઈ એ જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલા પિતા સાથે કતારગામ રહેતો ત્યારે સોનીબહેન(નામ બદલેલ છે)ની સાથે મારી ઓળખાણ થતા તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો. બન્ને એકબીજા અવાર નવાર મળતા હતા. ત્યારબાદ તેના લગ્ન નવસારી ખાતે થી જતા મુલાકાત થતી નહી અને મારા પણ લગ્ન થઈ ગયા હતાં.
વેવાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બન્નેના અલગ અલગ લગ્ન થયા બાદ મામાને ત્યાં લગ્નમાં મારી ફરી તેની સાથે મુલાકાત થઈ હતી. ત્યાંથી અમે એકબીજાને ફોન પર વાત ચીત કરતાં હતાં. અમે મિત્ર તરીકે વાતચીત કરતાં મારા દીકરા અને તેમની દીકરીની સગાઈ નક્કી કરી હતી. જે સગાઈ સોનીબહેનના પતિને અમારા સંબંધની શંકા હોવાથી સગાઈ તોડી નાખવાની કોશિષ કરતા હતા જે વાત મને સોનીબહેને કરતા અમારી સમાજમાં આબરૂ જશે તેવી બીકના કારણે સોનીબહને અને હું અમારે બન્ને રહેવુ નથી અને ઘર છોડી જતુ રહેવુ છે તે એકબીજા સાથે વાત ચીત ફોન ઉપર કરી હતી.