
સુરતમાં જિંદગીથી હારી ગયો છું લખી પરીક્ષાના દિવસે જ BEના સ્ટુડન્ટનો હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત
સુરતઃ
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ બીઈના સ્ટુડન્ટે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. સ્ટુડન્ટના આપઘાતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. જોકે, સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે જાતે જવાબદાર છું.
પરીક્ષાના પ્રથમ પેપર પહેલા આપઘાત
મૂળ ભાવનગરનો દીપક બોરિચા(ઉ.વ.૨૦) ઉધના મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં ચોથા માળે રૂમ નંબર ૪૦૫માં રહેતો હતો અને બીઈના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે બીઈના પ્રથમ વર્ષની પરીક્ષાનું ૧૦.૩૦ વાગ્યે પહેલું પેપર હતું. જોકે, પરીક્ષા પહેલાં જ દીપકે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે, હાલ સ્ટુડન્ટે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી.
સુસાઈડ નોટ મળી આવી
પોલીસે આપઘાત કરનાર સ્ટુડન્ટના રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે મને કોઈનું દબાણ નથી. જાતે જવાબદાર છું. પોલીસે સુસાઈડ નોટ આધારે વધુ તપાસ હાથ ધરી છે.