
સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ
સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે
ગૃહમંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.
ગૃહમંત્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે ધારાસભ્ય પુર્ણેશ મોદી, સંગીતા પાટીલ, વિવિધ સંસ્થાઓ, સમાજીક આગેવાનો તથા અન્ય વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજુઆતો સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઇને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે ૧૪મી માર્ચ ૨૦૨૦થી નિર્ણય કર્યો જેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવાયુ છે.