![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/841jpg.jpg)
વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી પર સુનાવણી કરશે. માલ્યાએ ભારતમાં તેની સંપત્તિ જપ્ત કરવાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે છ મહિના અગાઉ પોતાની તથા પોતાના સંબંધિઓની માલિકીની તમામ સંપત્તિ જપ્ત થતી અટકાવવાની માંગ કરી વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, જે બાદમાં નકારી દેવામાં આવી હતી.પોતાની અપીલમાં માલ્યાએ કહ્યું છે કે તે ફક્ત એવી અનિયમિતતાઓને એટેચમેન્ટ ઈચ્છતા હતા, જે કિંગફિશર એરલાયન્સ સાથે સંકડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીગ એક્ટ) કોર્ટે જાન્યુઆરી,૨૦૧૯માં માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. માલ્યા પર બેન્કના રૂપિયા ૯,૦૦૦ કરોડ લઈને વિદેશ ભાગી જવાનો આરોપ છે. તે માર્ચ ૨૦૧૬માં જ લંડન જતો રહ્યો હતો.તાજેતરમાં જ માલ્યાએ કહ્યું હતું કે તે ભારતીય બેન્કોની બાકી નિકળતી તમામ મૂળ રકમ પરત કરવા તૈયાર છે. પ્રત્યર્પણ આદેશ સામે લંડન હાઈકોર્ટમાં અપીલ પર ત્રણ દિવસની ચર્ચા બાદ માલ્યાએ આ વાત કરી હતી. હવે માલ્યા અંગે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. લંડન હાઈકોર્ટ બહાર મીડિયા સમક્ષ વાતચીતમાં માલ્યાએ કહ્યું હતું કે તે ભારતીય બેન્કોને હાથ જોડીને કહે છે કે તે તેમની તમામ મૂળ રકમ પરત કરવા તૈયાર છે.