
વડોદરામાં ધો-૧૦ની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
વડોદરાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે ધો-૧૦ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના સ્વામીનારાયણ મંદિર પાસે સોના એન્કલેવમાં રૂશીતા શિતલભાઇ પટેલ (૧૬) પરિવાર સાથે રહેતી હતી. આગામી માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની લેવાનારી પરીક્ષામાં રૂચિતા પણ ધો-૧૦ની પરીક્ષા આપવાની હતી. પરંતુ પરીક્ષાના દિવસો નજીક હોવાથી અને પરીક્ષાની તૈયારી પૂરી થઇ ન હોવાથી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. જેના કારણે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂશીતા પટેલે બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. રૂશીતાના પિતા એન્જિનિયર છે. અને માતા ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. રૂશિતાના માતા સાંજે ૬ વાગે ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેમણે પતિ અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.