
રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ પાસે ૪ વાહનોનો અકસ્માત, ૧૪ લોકો ઇજાગ્રસ્ત
રાજકોટ અમદાવાદ પર આવેલા માલિયાસણ નજીક સવારે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કાર પાછળ મિની બસ, તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ સ્લિપર કોચ ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઇ હતી. જેમાં બસના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા ૧૪ મુસાફરોને ઇજાઓ થઇ હતી. બસના ડ્રાઈવર તેમજ મુસાફરોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતને પગલે રોડની બંને સાઇડ વાહનોની લાંબી કતારો જામી ગઇ હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગોકળભાઇ માદડીયા (ઉ.૭૦-રહે. વેકરી ગોંડલ), ચિમનભાઇ પીપળીયા (ઉ.૬૫-રહે. સુરત), હેમીબેન ગજેરા (ઉ.૭૦-રહે. રવની તા. વંથલી), લાલજીભાઇ ગજેરા (ઉ.૭૫-રહે. રવની), મકબુલભાઇ મહમદહુશેન પઠાણ (ઉ.૫૨-રહે. અંકલેશ્વર), મોંઘીલાલ ચુનિલાલ સુથાર (ઉ.૫૫-રહે. રાજસ્થાન), જીજ્ઞેશ વિમલભાઇ ઘેડીયા (રહે. જામકલ્યાણપુર), સુરેશભાઇ નંદલાલ (ઉ.૫૫), ગીતાબેન સુરેશભાઇ (ઉ.૫૦), કિરીટભાઇ ભગવાનજીભાઇ (ઉ૪૫), પ્રફુલભાઇ શાંતિલાલ, સંગીતાબેન પ્રફુલભાઇ મકવાણા (ઉ.૪૨) સહિત પંદર મુસાફરોને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડાયા હતાં. બસના ડ્રાઇવર મહેશભાઇ પાલીવાર (ઉ.વ.૩૫)ને પણ ઇજા થઇ હતી