![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/687Untitled.jpg)
જામનગર : ૩ શખ્સે ૫ રાઉન્ડ ફાયરિંગ કરતા યુવાનનું મોત, બે આરોપી ઝડપાયા.
જામનગરઃ ધ્રોલના ત્રણબત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજ નામના યુવકને ગોળી વાગતા મોત નીપજ્યું હતું. ફાયરિંગ કરી શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ મોરબી પોલીસે ગણતરીની કલાકમાં જ બે આરોપી અનિરૂદ્ધસિંહ અને મુસ્તાકને હથિયાર સાથે ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી દૂર છે. ઘટના બાદ ત્રણેય શખ્સો પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા હતા તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. મોરબી પોલીસને પણ કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આ અંગે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે.
ત્રણેય શખ્સો સ્ફ્ટવી કારમાં આવ્યા હતા અને નીચે ઉતરીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજને ગોળી વાગતા તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી. દિવ્યરાજ મજોઠ ગામનો હોવાનું અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો.
જામનગરના SP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ધ્રોલમાં ફાયરિંગ થયું છે. આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. રાજકોટ રેન્જ પર મોરબી પોલીસ અને નાકાબંધીની મદદથી અમે બે આરોપીને લોડેડ હથિયાર સાથે પકડી પાડ્યા છે. વધુ વિગત અમે મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી આવતીકાલે આપીશું. ૨ કલાકથી ઓછા સમયમાં અમે આરોપીઓને ઝડપી લીધા છે. જામનગર પોલીસ અને મોરબી પોલીસની કામગીરીને બિરદાવું છું.
મૃતક દિવ્યરાજ અગાઉ હત્યાના ગુનાનો આરોપી હોય હત્યાનો બદલો લેવા હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો બીજી તરફ દવ્યરાજ ખનીજ માફિયા તરીકે પંકાયેલો હોવાથી ખનીજ પ્રકરણમાં પણ હત્યા કરવામાં આવી હોય તેવું બની શકે. જો કે, પોલીસ હત્યા પાછળનું સાચુ કારણ જાણવા બંન્ને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. સ્વીફ્ટ કારમાં નાસી છૂટેલા જામનગરના અનિકૂદ્ધસિંહ સોઢા અને રાજકોટના મુસ્તાક પઠાણની મોરબી LCBની ટીમે ઝડપી લીધા હતા.