![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/bombardier-global-express.jpg)
આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી બોમ્બાર્ડિયર 2,500 કર્મચારીની છટણી કરશે
બોમ્બાર્ડિયર કોરોના મહામારી વચ્ચે પોતાની કામગીરી સામાન્ય સ્તરે જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સંજોગોમાં કંપની વર્ષ દરમિયાન આશરે 2,500 કર્મચારીની છટણી (layoff) કરશે.
ક્યુઈબેક સ્થિત ટ્રાન્સપોર્ટેશન કંપનીએ આજે એક યાદીમાં જણાવ્યું હતું કે જેટ વેચાણના કારોબારમાં વાર્ષિક ધોરણે 30 ટકાનું નુકસાન થવાની શક્યતા અમે જોઈ રહ્યા છીએ, આ સંજોગોમાં તેને પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી છે.
રેડિયો કેનેડાને આપેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે તેની ક્વેબેસ સુવિધા ખાતે આશરે 1,500 અને ઓનટારિયોમાં આશરે 400 કર્મચારી તેમ જ બાકીની સંખ્યામાં ઈન્ટરનેશનલ સુવિધામાં છટણી કરવામાં આવશે. આ સાથે કંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ કાયમી છટણી છે. ફેલાઈ રહેલા કોવિડ-19ની મહામારીથી પોતાના કર્મચારીઓને બચાવવા માટે બોમ્બાર્ડિયરે ગત માર્ચ મહિનામાં તેની તમામ કામગીરી અટકાવી દીધી હતી.
કંપીએ માર્ચ મહિનામાં તેની કામગીરી સ્થગિત કરી દીધી હતી, જોકે ગયા મહિને એટલે કે મે મહિનામાં કામગીરી ફરી શરૂ કરી હતી, અલબત કંપનીને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 200 મિલિયન ડોલરનું જંગી નુકસાન થયુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં બોમ્બાર્ડિયરે વાણિજ્ય વિમાનોના કારોબારમાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો હતો અને A220 પ્રોગ્રામમાં રહેલો બાકીનો હિસ્સો એરબસને વેચાણ કરી રહી છે. આ રીતે કંપની તેના પર જે લાખો ડોલરનું દેવું છે તે ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો.કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં જ તેના રેલ-બિલ્ડિંગ યુનિટનું ફ્રાન્સ ટ્રેન ક્ષેત્રની અગ્રણી ઓલસ્ટમ એસએને વેચાણ કર્યું હતું. આ સાથે જ કંપની રેલવેને લગતા કારોબારમાંથી સંપૂર્ણપણે નિકળી ગઈ હતી.