![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/01-copy-5.jpg)
બનાસકાંઠા જિલ્લામાં હજારો રોપાઓનું બાળમરણ કરી દેવાયું
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રે મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ ૯ થી ૧૫ તારીખ સુધી ગ્રામ કક્ષાએ કાર્યક્રમો યોજ્યા હતા.જેમાં જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓની ૯૬૬ ગ્રામ પંચાયતોએ શિલા ફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી,વિરોને વંદન, વસુંધાવંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.તે હેઠળ વસુધાવંદનમાં ૭૫ રોપઓ વાવી ગામમાં અમૃતવાટીકાનું નિર્માણ કરવાની જવાબદારી સોંપાઈ હતી.પરંતુ બનાસકાંઠા જિલ્લાની લગભગ બધી જ ગ્રામ પંચાયતોએ ૭૫ રોપઓ વાવવાને બદલે માત્ર
ખાડાઓ ખોદી આવા રોપાઓને શોચાલયોમાં તેમજ કચરામાં ફેંકી વૃક્ષ દેવતાનું રીતસરનું અપમાન કર્યું છે.જેને લીધે જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓની સાથે સામાન્ય પ્રજાજનોમાં પણ બનાસકાંઠા પંચાયત તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે ફજીજીસ્ સંસ્થાના સંસ્થાપિકા અને બનાસકાંઠામાં વૃક્ષ મિત્ર અભિયાનના પ્રણેતા મિત્તલબેન પટેલે જણાવ્યું હતું કે,આ ખૂબ જ દુઃખદ કહેવાય. જિલ્લામાં આ રીતે રોપઓને ફેંકી દેવા જેવી ઘટનાએ મારી નજરમાં ભૃણહત્યા સમાન છે.
ગ્રામ પંચાયતોનાં તલાટીઓ પાસેથી સરકારીકામ યોગ્ય રીતે કરે કરાવવાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીની હોય છે. મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં શિલા ફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વિરોને વંદન, ધ્વજવંદન સહિત વસુધાવંદન જેવા કામો યોગ્ય રીતે થયા છે કે નહીં તે જોવાની જવાબદારી જે તે તાલુકા અધિકારીની સુનિશ્ચિત કરવામાં આવી હતી. દરેક કાર્યક્રમના ફોટા મંગાવવા સહિત સ્થળ તપાસ, દંડનીય કાર્યવાહી સહિતની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દરેક પંચાયતોમાં વૃક્ષવંદનાને વૃક્ષ અપમાનમાં ફેરવનાર તલાટીઓ સામે જિલ્લાના કોઈપણ ટીડીઓએ કેમ અત્યારસુધી કોઈ જ પગલાં ભર્યા નથી ? તેવા ગંભીર સવાલોને લીધે જિલ્લાના તમામ ટીડીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી છે..
સરહદી સુઇગામ તાલુકાની લીંબળા ગ્રામપંચાયતમાં તો મોટાભાગના રોપાઓ પંચાયત કચેરીના મહિલા શોચાલયોમાં ફેંકી દેવાયેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં અહીંના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીં તલાટીને ત્રણ મહિનાથી જોયા નથી. ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી, અમારે દાખલો કઢાવવા માટે પણ છેક સુઇગામ જવું પડે છે.