![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુરના-યુવકે-વ્યાજખોર-02-પા્.jpg)
વ્યાજનું વિષ ચક્ર..! પાલનપુરના યુવકે વ્યાજખોરના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
આપઘાત કરતા પૂર્વે યુવકે વિડિઓ બનાવી આપવીતી વર્ણવી રેલવે ટ્રેક પર પડતું મૂક્યું
એક મહિના પૂર્વે ચિઠ્ઠી લખી ઘર છોડ્યા બાદ આપઘાત કરનાર યુવકના બન્ને પગ કપાયા: પાલનપુરના યુવકે વ્યાજના વિષ ચક્રમાં પિસાઈને આપઘાત કરવા નો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત પૂર્વે વીડિયો બનાવી આપવીતી વર્ણવી રેલવે ટ્રેક પર પડતું મુકનાર યુવકના પગ કપાઈ જતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો.
પીડિત યુવકના ભાઈના જણાવ્યા મુજબ: પાલનપુરના 35 વર્ષીય પીડિત વલીભાઈ સુમરાએ ઘોડિયાલ ગામના પરેશ સોમાલાલ સોની પાસેથી રૂ.2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રકમ 10 ટકા વ્યાજ સાથે રૂ.9 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર પરેશ સોની અને તેનો વકીલ તેને હેરાન કરતો હતો. જેથી વ્યાજ ખોરના ત્રાસથી પીડિત યુવક એક મહિના પૂર્વે ચિઠ્ઠી લખી ઘરેથી ગાયબ થઈ ગયો હતો. જે યુવકે આજે આપઘાત કરતા પૂર્વે એક વિડિઓ બનાવ્યો હતો. બાદમાં પાલનપુરના આરટીઓ સર્કલ નજીક રેલવે ટ્રેક પર વ્યાજખોરના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેમાં યુવક ટ્રેન નીચે આવી જતા તેના બંને પગ કપાઈ જતાં તેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પીડિતના પરિવારજનો સહિત લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેઓએ વ્યાજખોર અને વકીલ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
વ્યાજખોરો સામેની મુહિમ કાગળ પર?: ગુજરાતમાં વ્યાજના વિષચક્રમાં હોમતી નિર્દોષ માનવ જિંદગીઓને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ પોલીસને વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી મુહિમ છેડવા સૂચના આપી હતી. જોકે, આરંભે શુરી પોલીસે અગાઉ તો વ્યાજખોરો સામે બઘડાટી બોલાવી કેસો કર્યા હતા. જોકે, બનાસકાંઠામાં આજે પણ વ્યાજખોરો તગડું વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના બનાવો સમયાંતરે બનતા રહે છે. જેની પ્રતીતિ કરાવતા આ બનાવમાં યુવક વ્યાજખોરના ત્રાસથી એક માસ પૂર્વે ચિઠ્ઠી લખી ઘર છોડી જતો રહ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસની ઢીલી નીતિને કારણે યુવકે અંતે અંતિમવાદી પગલું ભરી આપઘાત કરવા જતાં અપાહીજ થવાનો વારો આવ્યો હોવાની લાગણી તેના પરિવાર જનોએ વ્યક્ત કરી હતી.