![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુર-નગરપાલિકા-ચીફ-ઓફિસર-02-hed.jpg)
પાલનપુરમાં ઘરવેરો ન ભરતા 25 રહીશોના નળ કનેક્શનનો કપાયા રૂ.5 લાખની વેરા વસુલાત : 1000 રહીશોને નોટીસ
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવતા બાકી ઘરવેરા પેટે 25 રહીશોના નળ કનેક્શનનો કાપી નાખી 1000 રહીશોને નોટિસ ફટકારવામાં આવતા રીઢા બકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સુચના ને પગલે વેરાવસુલાત ઝુંબેશ તેજ બનાવાઇ છે. વેરો ન ભરતા રહીશો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં પાલનપુર શહેરમાં 1 થી 11 વોર્ડમાં કુલ 1,000 ઉપરાંતની નોટિસો આપી વેરો ભરવા માટે રહીશોને તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક રહીશો દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો.
જેથી પાલિકાની ઘરવેરા શાખાની ટીમના ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, હરેશભાઈ જોશી, ચંદ્રકાંત ભાઈ પંચાલ, મુકેશભાઈશ્રીમાળી, મનહરભાઈ ઓડ, મગનભાઈ દેસાઈ સહિતની ટીમ દ્વારા પાલનપુર શહેરના ઢુઢીયાવાડી, અલીગંજ ટેકરા, સુખબાગ રોડ, રબારી વાસ સહિતના વિસ્તારોમાં થી કુલ 25 જેટલા નળ કનેક્શન કાપી રૂ.5 લાખની વસુલાત કરવામાં આવી છે. જેના પગલે અન્ય રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.