![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/આંદોલનના-એંધાણ.jpg)
આંદોલનના એંધાણ : ડીસા સહિત જિલ્લામાં પીએમજેએવાય યોજનાના નાણા ન ચૂકવાતા તબીબોની હડતાલની ચીમકી
સરકાર બે વર્ષથી નાણાં ન ચૂકવતા હોસ્પિટલો ચલાવવી મુશ્કેલ : તબીબો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાલ ઉપર ઉત્તરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે.તેવો રોષ તબીબો ઠાલવી રહ્યા છે.
સરકાર દ્વારા મફત સારવાર: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે તે માટે માં કાર્ડ,આયુષ્યમાન કાર્ડ થકી લોકોને ખાનગી હોસ્પિટલોમાં સુવિધા યુક્ત સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. જેમાં કાર્ડ ધારક કોઈપણ દર્દી સામાન્યથી લઈ કેન્સર, હૃદય રોગ,ન્યુરો, યુરો સહિતની મોટી બીમારી તેમજ ઓપરેશનો માટે સરકાર દ્વારા નિયુક્ત કોઈપણ હોસ્પિટલમાં મફતમાં સારવાર લઈ શકે છે. જે માટે સરકાર જે તે ખાનગી હોસ્પિટલોને ડોક્ટરની કન્સલ્ટિંગ ફી, સર્જરી ખર્ચ, રૂમ ભાડું, દવાઓનો ખર્ચ સહિતના ખર્ચની નક્કી કરેલી રકમ હોસ્પિટલોને ચુકવે છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ 84 જેટલી હોસ્પિટલો પ્રધાનમંત્રી: જન આરોગ્ય યોજના હેઠળ જોડાયેલી છે. જેમાં ડીસામાં પણ 13 હોસ્પિટલો આ યોજના સાથે સંકળાયેલી છે. પરંતુ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી તબીબોને સરકાર દ્વારા આ યોજનાના તબીબોએ મુકેલા બિલોની રકમ ચૂકવવામાં આવી નથી. જેથી તબીબોને હોસ્પિટલો ચલાવવી, સ્ટાફનો પગાર કરવો સહિત અન્ય ખર્ચ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવવી પડે છે. અંગે તબીબોએ સરકાર સમક્ષ અનેક વખત લેખિત રજૂઆત કરી નાણા જલ્દી ચૂકવવાની માંગ કરી હતી પરંતુ હજુ સુધી સરકાર દ્વારા નાણા ના ચુકવાતા આખરે તબીબોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જેમાં તારીખ 26 થી 29 સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલના તબીબો આ યોજનાને લાગતી સારવાર બંધ રાખી હડતાલમાં જોડાશે અને ત્યારબાદ પણ જો સરકાર તેમને સમયસર પૈસા ચૂકવી સમસ્યાનુ સમાધાન નહીં કરે તો આગામી સમયમાં આક્રમક આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.