![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુરની-છાત્રા-કિર્ગીસ્તાનમાં-hed.jpg)
પાલનપુરની છાત્રા કિર્ગીસ્તાનમાં ફસાઈ: બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ 12 દિવસથી ફસાયાની રાવ
તંત્ર દ્વારા કોઈ મદદ ન મળી હોવાનો પરિવારનો આક્ષેપ: કિર્ગીસ્તાનમાં ભયાનક હિંસા વચ્ચે પાલનપુરની વિદ્યાર્થી કિર્ગીસ્તાનમાં ફસાઈ જતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. જોકે, તંત્ર દ્વારા કોઈ મદદ મળી ન હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
કિર્ગીસ્તાનમાં સ્થાનિકો અને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિધાર્થીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભયાનક હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે કિર્ગીસ્તાનમાં એમબીબીએસ નો અભ્યાસ કરવા ગયેલા બનાસકાંઠાના 8 વિદ્યાર્થી ઓ પણ છેલ્લા 12 દિવસથી ફસાઈ જતા તેઓનો પરિવાર ચિંતાતુર બન્યો છે. જેમાં પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં રહેતી અફરોજ શેખ નામની છાત્રા કિર્ગીસ્તાનના બિસ્કેક સીટીની ISM કોલેજમાં MBBSમાં અભ્યાસ કરી રહી છે. જે છેલ્લા 4 વર્ષથી ત્યાં અભ્યાસ કરે છે. જોકે, કિર્ગીસ્તાનના બીસ્કેક શહેરમાં વિદ્યાર્થીઓ પર હૂમલાના દ્રશ્યો સામે આવતા અફરોજ શેખના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. અફરોજ શેખ ત્યાં ફસાઈ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન કરી હોવાનો આક્ષેપ છાત્રાના પિતા કાદર શેખ સહિતના પરિવારજનો કરી રહ્યા છે.
અફરોજ શેખને વતન પરત લાવવા માટે પરિવારે જાતે મહેનત કરતા રવિવાર સુધી વિદ્યાર્થીની ઘરે પરત આવશે તેવો આશાવાદ પરિવારજનો સેવી રહ્યા છે. ગુજરાતના 500 છાત્રો કરે છે અભ્યાસ: ગુજરાતના 500 વિદ્યાર્થીઓ મેડિકલમાં કર્ગીસ્તાનમાં અભ્યાસ કરે છે. જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના પણ 8 વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં અભ્યાસ કરે છે. MBBS ના અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ 12 દિવસ થી ફસાયા છે. કર્ગીસ્તાનના બીસ્કેક શહેર માં વિદ્યાર્થીઓ પર હૂમલા ના દ્રશ્યો સામે આવતા ચિંતિત માતા પિતા એ પોતાના બાળકોને પરત બોલાવી લીધા છે.
ત્યારે કર્ગીસ્તાનમાં ફસાયેલા બનાસકાંઠા ના 8 વિદ્યાર્થીઓ વતન પરત આવશે. વિદ્યાર્થીઓ સાથે મોબાઈલ લૂંટ અને અન્ય ચીજ વસ્તુઓની લૂંટને લઈને છેલ્લા 12 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં સ્થાનિકોએ ટાર્ગેટ બનાવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.