દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત : કલાકે 30 કરોડ લિટર પાણીનો વેડફાટ
દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે એક કલાકમાં 30 કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો થોડા સમયમાં ડેમ અડધો ખાલી થઇ જશે તેવી ખેડૂતોને ચિંતા છે.દાંતીવાડા ડેમ ચોમાસા દરમિયાન ભયજનક સપાટીએ પહોંચી જતાં ચાર દરવાજા ખોલી પાણી છોડાયું હતું. જે પછી રવિસિઝનમાં ખેડૂતોની માંગણીને લઇ એક માસ અગાઉ દરવાજા ખોલી નહેર મારફતે પાણી અપાઈ રહ્યું હતુ. જોકે, બે પિયત માટે પાણી અપાયા પછી પણ નહેરમાં પાણી બંધ કરી નદીના પટમાં પાણી છોડવાનું ચાલુ રહેતા બુધવારે દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં ચોંકાવનારૂ કારણ એ સામે આવ્યું છે કે, ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે દોઢ મીટરની ખુલ્લી જગ્યામાંથી દર એક કલાકમાં 30 કરોડ લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી.
મંગળવારે ગાંધીનગરની ટેકનિકલ એક્સપર્ટના અધિકારીઓ આવ્યા હતા અને સ્થિતિની ચકાસણી કરી હતી. આજે અમદાવાદ ટેકનિકલ એક્સપર્ટ ની ટીમ આવશે અને દાંતીવાડા ડેમના ગેટમાંથી જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેને બંધ કરવાના પ્રયત્નો કરશે.ચોમાસા અગાઉ ડેમનું ઇન્સ્પેક્શન કરી બધા જ દરવાજા ચકાસી પાણી છોડવામાં આવે છે. જોકે, વર્તમાન સમયે ક્ષતિગ્રસ્ત દરવાજાના કારણે બેદરકારી સામે આવી છે. ડેમ પર માત્ર ફિક્સ પગાર આધારિત રોજમદારો ફરજ બજાવી રહ્યા છે.દાંતીવાડા ડેમની વર્તમાન સમયની સપાટી 598 ફૂટ છેે. જેમાંથી પ્રતિ કલાકે 302 કયુસેક પાણી દરવાજાથી બહાર આવી રહ્યું છે. જો આવી રીતે પાણીનો બગાડ ચાલુ રહેશે તો ડેમ અડધો ખાલી થઇ જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.વર્ષ 2017માં પણ દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાયા બાદ ગેટ બંધ ન થવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાયું હતું. દાંતીવાડા પૂર્વ ડેલીગેટ વક્તાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ગામના લોકોની જમીનો ડેમમાં ગઈ છે. સિંચાઇનો કોઈ લાભ મળતો નથી. પરંતુ ડેમના પાણીથી જમીનમાં પાણીના તળ જળવાઇ રહે છે. જો ખુલ્લા દરવાજામાંથી પાણી વહ્યું જશે તો આવનાર ઉનાળામાં પીવા અને ખેતીના પાણી માટે ફાંફા પડશે.