![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/થરાદના-તળાવો-નર્મદાના-04-hed.jpg)
શિવરાત્રીના દિવસે તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નિરના વધામણા કરાયા
બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવા માટે સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 70 કિલોમીટર લાંબી થરાદ-સીપુ પાઇપ લાઈન નાખવાના આવી છે. જેને લઈને આજથી થરાદ તાલુકાના 15 ગામોના તળાવો ભરવાનું શરૂ કરાતાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નિરના વધામણા કરાયા હતા.
વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા જિલ્લાનાઅનેક તાલુકાઓના ગામોના તળાવો ભરવા માટે સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ, ડીસા, લાખણી, દાંતીવાડા, તાલુકાઓને જોડતી થરાદ-સીપુ પાઇપ લાઇન નાખવામાં આવી છે. જેને લઈને આજથી લિંક પાઇપ દ્વારા થરાદ તાલુકાના 15 ગામોના 47 તળાવો ભરવાની શરૂઆત કરતા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારસભ્ય શંકરભાઈ ચૌધરી અને સંસદ પરબત પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો ઉપર પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચોધરી અને સંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ, ફુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી નીરના વધામણાં કર્યા હતા.
ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીપુ સુધી 70 કિ.મી. લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા આમ ત્રણ ગામોમાં પંપીંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે. જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે. આ મુખ્ય પાઇપલાઇનની બંન્ને બાજુમાં આવતાં ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે.
જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપ લાઇન નાંખવામાં આવી છે. જેમાં થરાદ તાલુકાના 15 ગામનાં 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા 2 ગામના 5 તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે, સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવશે. જેથી ખેતી માટે પણ બારોમાસ પાણી મળી રહેતાં ખેડૂતો સમૃધ્ધ બનશે. જેને લઈને ખેડૂતોની 6 હજાર હેકટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. જેને લઈને ખેડૂતો માટે સોનાનો સુરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.