![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/01-4.jpg)
યાત્રાધામ અંબાજી રેલવે વ્યવહારથી ઝડપથી જોડાય તે અંગે અધિકારીઓનું નિરીક્ષણ
યાત્રાધામ અંબાજીમાં વિકાસની અનેકો પરિયોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અમુક પરિયોજનાઓનું કાર્ય પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અંબાજીને રેલવેથી જોડવા માટે સરકારે કરોડો રૂપિયાની તારંગા અંબાજી આબુરોડ રેલવે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છ આવનાર સમયમાં યાત્રાધામ અંબાજી ની કાયા પલટ થવાની છે. ત્યારે અંબાજી રેલવે લાઈન માટે અધિકારીઓની બેઠક અને નિરીક્ષણ સાથે ઝડપથી કાર્ય પૂર્ણ થાય તેમ અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે.યાત્રાધામ અંબાજીના રેલ્વે પ્રોજેકટનું કામ વહેલી તકે શરૂ થાય તે માટે ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અંબાજી પહોંચ્યા હતા. એટલું જ નહીં, જે સ્થળે સ્ટેશન બનાવવામાં આવનાર છે. તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે અંબાજી પ્રોજેક્ટના સ્થળે કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજવામાં આવી હતી. જે અંતર્ગત આ રેલવે પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવામાં આવનાર છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. GIDC વિસ્તારમાં અત્યાધુનિક અને આધુનિક પેસેન્જર આવાસ અને રેલવે સ્ટેશન બનાવવામાં આવશે.
આજે ઉત્તર-પશ્ચિમ રેલવેના મુખ્ય વહીવટી અધિકારી (CAO/C) વેદ પ્રકાશ અને તેમની ટીમ અંબાજી અને અંબાજી રેલવે પ્રોજેક્ટ એન્જિનિયર અને વિષ્ણુ પ્રકાશ પુંગલિયા લિમિટેડના કોન્ટ્રાક્ટર કમલ કિશોર પુંગલિયાએ પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને સાથે મળીને એક બેઠક યોજી હતી. તેને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અંબાજી રેલવે સ્ટેશન પર આધુનિક અત્યાધુનિક સુવિધાઓ સાથેનું 100 રૂમનું પેસેન્જર નિવાસ પણ બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે વન વિભાગની પરવાનગી મળી ગઈ છે. એટલું જ નહીં હાલમાં ઉજ્જડ જંગલ જેવો દેખાતો વિસ્તાર અનોખું આકર્ષણ ધરાવતું સ્થળ બનશે અને ટૂંક સમયમાં અંબાજીને રેલ્વેથી જોડવાનું સ્વપ્ન સાકાર થશે.