થરાદના અભેપુરામાં પત્નિને તેડવા આવેલા જમાઇની હત્યા પોલીસે સાસુસસરા પત્નિ અને સાળા સામે ગુનો દાખલ કર્યો
થરાદના અભેપુરામાં પત્નિને તેડવા આવેલા પતિનું ઇજાના કારણે મોત નિપજતાં અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી છે. મૃતકના ભાઇની ફરિયાદના આધારે પોલીસે મૃતકના સાસુસસરા પત્નિ અને સાળા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શેનાભાઇ મફાભાઇ મકવાણા (ઠાકોર) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના નાનાભાઇ મુકેશભાઇ પોતાની પત્ની અને માતા સાથે અલગ રહેતા હતા.તેમના લગ્ન થરાદના અભેપુરાના રમેશભાઇ ઠાકોરની પુત્રી જ્યોત્સનાબેન સાથે થયેલ હતાં તેમને સંતાનમાં બે વર્ષની પુત્રી પણ છે. દોઢ મહિના પહેલાં બંન્ને પતિપત્નિને ઝગડો થતાં મુકેશભાઇએ તેણીને ઇજા પણ પહોંચાડી હતી.આથી તેણીના પિયરમાંથી માતાપિતા અને ભાઇ આવતાં તેની સાથે મુકી પણ દીધી હતી. શુક્રવારે માતા અને શેનાભાઇની પુત્રી તેડવા જતાં જ્યોત્સનાબેનની માતાએ પૈસા આપશો તો મુકવાની વાત કરી હતી.
શનિવારના સવારના સુમારે અભેપુરાથી સાસુનો ફોન આવતાં મુકેશભાઇ પોતની પત્નીને તેડવા માટે ગયો હતો. જ્યાં તેને માર મારવામાં આવતાં થરાદની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો.આથી મુકેશભાઇના પરિવારે હોસ્પીટલ દોડી આવી તપાસ કરતાં પીએમ રૂમમાં રહેલા મુકેશભાઇના મૃતદેહ પર પેટના ભાગે બે ઘા જોવા મળ્યા હતા. આ વખતે શેનાભાઇને પત્નીને તેડવા ગયેલા મુકેશભાઇ સાથે તેના સસરા રમેશભાઇ હરજીભાઇ ઠાકોર, મંજુલાબેન રમેશભાઇ ઠાકોર , જોષનાબેન મુકેશભાઇ ઠાકરો અને સાળા વિપુલભાઇ રમેશભાઇ ઠાકોરે બોલાચાલી કરી બપોરના બારેક વાગ્યે ચપ્પુના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.આથી ઇજાના કારણે સારવાર અર્થે લવાતાં 32 વર્ષીય મુકેશભાઇનું મોત નિપજ્યું હતું.આબનાવ અંગે પોલીસે ચાર સાથે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી