ખજૂરભાઈ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી સાંજની આરતીમાં જોડાયા
શકિત, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે સાથે વીઆઈપી ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરમાં દર્શન કરવા અને શીશ ઝૂકાવવા આવ્યા હતા.
ખજૂરભાઈ જાની અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. તેઓ પોતાનાં માતા, પત્ની મીનાક્ષીબેન, બાળકો અને ભાઈઓ સાથે અંબાજી મંદિરમાં સાંજની આરતીમા જોડાયા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમને ચુંદડી અને પ્રસાદ પણ અપાયો હતો. અંબાજી મંદિરની ગાદીમાં જઈને તેમને ભટ્ટજી મહારાજ પાસે રક્ષાકવચ બંધાવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી.
ખજૂરભાઈએ જણાવ્યું હતું કે, હું જે પણ સેવાકીય કાર્ય કરું છું. તે તમામ કાર્યોમાં માતાજીની શક્તિ મારી સાથે રહે છે. હું અવાર નવાર અલગ અલગ મંદિરોમાં માતાજી પાસે આશીર્વાદ અને શક્તિ લેવા જવું છું. અંબાજી મંદિરમાં પણ હું માતાજીના આશીર્વાદ અને શક્તિ લેવા મારા પરિવાર સાથે આવ્યો છું.