રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જન આંદોલન દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું
થરાદ ખાતે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જન આંદોલન દ્વારા રેફરલ ત્રણ રસ્તા પાસેથી રેલી યોજી નાયબ કલેક્ટર કચેરીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. વાવ થરાદ તાલુકામાં સાથણીમાં મળેલી જમીનના પ્રત્યક્ષ કબજા સોંપવા તથા દલિત/આદિવાસી/ઓ.બી.સી./માજી સૈનિકો અને તમામ સમાજના ભૂમિહીનોને રહેણાકના ઘર, ખેતી તથા સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વર્ષો પહેલા સાંથણીમાં મળેલી જમીન ગરીબ વંચિત લોકોને મળેલી હતી એ જમીનમાં આજે પણ માથાભારે અને અસામાજિક તત્વોનું દબાણ છે. તો તેવી જમીનો ડી.આઇ.એલ.આર. દ્વારા ચાર દિશામાં ખૂંટ મારી માપણી કરી પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે.
આવેદનમાં કરવામાં આવેલી માંગણીઓ
1.જમીન વિહોણા લોકોને તેમની લાયકાત અનુસાર ખેતીની જમીન આપવામાં આવે.
2.ઘરવિહોણા લોકોને ઘરથાળનાં મફત પ્લોટો આપવામાં આવે.
3.બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડામાં સ્મશાન ભૂમિ માટે જગ્યા નીમ કરવામાં આવે.
4.વર્ષ 2015માં રી-સર્વેમાં જે લોકોની જમીન માપણીમાં ભૂલો થઈ છે, એ માપણી રદ કરવામાં આવે અને જૂના મહેસૂલી રેકોર્ડ પ્રમાણે જે સ્થિતિમાં જમીન હતી એ સ્થિતિમાં કરવામાં આવે.
5.જે તે વખતે સાંથણીમાં મળેલી જમીન આજના દિવસે પણ માથાભારે લોકોના કબજામાં હોય એ જમીનો છૂટી કરાવી મૂળ માલિકને પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે.
આ માગણીઓ મુદ્દે દુર્લક્ષ સેવી જો કોઈ જ પ્રકારની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી 14 એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડાના લોકો નાયબ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ આંદોલન કરવા મજબૂર બનશે. એવી ચીમકી ઉચ્ચારી હતી.