
ડીસામાં સફાઈ મુદ્દે તંત્રની ઘોર બેદરકારી
એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે. તથા હાલમાં મહાત્મા ગાંધી જન્મ જ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં તા. ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર-૨૦૨૩ દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમની આ વખતે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર ઉજવણી મોટા ઉપાડે શરૂ થઈ છે. ત્યારે જિલ્લાની આર્થિક નગરી ડીસામાં સફાઈ મુદ્દે તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો ઠેરઠેર નજરે પડી રહ્યા છે.
શહેરના વોર્ડ નં. ૯ ના ગવાડી પાસે આવેલ અસગરી પાર્ક સીટી સર્વે નં. ૪૦૭૩ ના માલિકીના પ્લોટ નં ૯૪ માં છેલ્લા ચાર દિવસથી મરેલી હાલતમાં પડેલ ગાયને કુતરાઓ દ્વારા ફાડી નાખતા તેની અસહ્ય દુગઁધથી આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ થઇ ગયુ છે.જેમાંથી કેટલાક લોકો વોમિટિંગ કરી બીમારીમાં સપડાયા છે. તો કેટલાક લોકો દુગઁધથી ત્રાસી પોતાનુ ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જવા મજબુર થયા છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્રને લેખિતમાં જાણ કરવા છતા હંમેશાની જેમ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યુ છે.ગાયને હિન્દૂ સંસ્કૃતિમાં દેવીનો દરજજો અપાયો છે પણ છેલ્લા ચાર દિવસથી સગર્ભા ગાયનો મૃતદેહ રઝળે છે. તેથી ગંભીર રોગચાળાનો ખતરો મંડરાયો છે.તેમ છતાં પાલિકા,આરોગ્ય તંત્ર કે ગાયોના હમદર્દ ગણાતા સંગઠનો અને ગૌપ્રેમીઓનું આ મુદ્દે મૌન શહેરીજનોને અકળાવે છે.