અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવાનું દેવસ્થાન ટ્રસ્ટનું અભિયાન : ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ મશીન પણ કાર્યરત
કપડાંની થેલીઓના વિતરણ માટે બે ઓટોમેટિક વેડિંગ મશીન મૂકાયા: યાત્રાધામમાં ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ મશીન પણ કાર્યરત: પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણ અને વન પર્યાવરણને પણ ભારે નુકશાન થાય છે અને મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટતા હોય છે તેવી બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે.
ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનું અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ ઉપાડ્યુ છે જેને લઇ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેડિંગ મશીન મુકવામાં આવ્યા છે, અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ આ વેડિંગ મશીનને પૂજા વિધિ કરી ખુલ્લું મૂક્યું હતું. આ મશીનથી યાત્રિકે માત્ર 5 રૂપિયાનો એક સિક્કો આ વેડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાંની થેલી બહાર આવે છે ,જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે. જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા 10 નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકાશે, આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મુકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે.
એટલું જ નહીં, અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહીત અન્ય ઠંડા પીણાંની બોટલો પણ લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેન્ક અંબાજીના સૌજન્યથી ઓટો મેટિક પ્લાસ્ટિક બોટલ ક્રસર મશીન મુકવામાં આવ્યા છે જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રસ કરી શકશે અધીક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યુ હતુ કે તેનો કોઈ ચાર્જ લેવાશે નહિ અને તે રિયુઝ થાય અને તેની પ્રોડકટીવિટી મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.