![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/લાખણી-ખાતે-બનાસકાંઠા-hed.jpg)
બનાસકાંઠા- પાટણ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આયોજીત ન્યાય સંકલ્પ સભામાં જનમેદની ઉમટી
વડાપ્રધાન શહેનશાહની જેમ રહે છે અને મારા ભાઈને શેહજાદો કહે છે , કેટલી ગંદી રાજનીતિ ? : પ્રિયંકા ગાંધી
લાખણીની સભામાં પ્રિયંકા ગાંધીનો મોદી પર પલટવાર ભાજપની ભ્રષ્ટ રીતિનીતિઓ ઉપર આકરા પ્રહારો
યુવાનોને રોજગાર, ખેડૂતોને દેવું માફ,મહિલાઓને ન્યાય અને વેપારીઓને જીએસટીમાંથી છુટકારાની ખાતરી : બનાસકાંઠાના લાખણી ખાતે પ્રિયંકા ગાંધીના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી,ઉમેદવાર ગેનીબેન ઠાકોર,આંબાભાઈ સોલંકી, ગુલાબસિંહ રાજપુત, ભરતસિંહ વાધેલા નરસિંહ દેસાઈ લક્ષ્મીબેન કરણ દિનેશભાઈ ગઢવી જયેશભાઈ કરમટા, ઠાકરશીભાઈ રબારી રૂડાજી રાજપૂત,ભલજીભાઈ રાજપૂત જીતેન્દ્રસિંહ વાધેલા મધુબેન પરમાર દીલીપ નાઈ સહિતના તમામ પ્રદેશ અને બનાસકાંઠા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રિયંકા ગાંધીનું ગેળાવાળા હનુમાનનો ફોટો આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.પ્રદેશ કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી સભામાં પહોંચે તે પહેલા ગેળા ખાતે હનુમાન દાદાના દર્શન કર્યાં બાદ સભા સંબોધી હતી.
જેમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની રીતિનીતિઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી શહેનશાહની જેમ રહે છે.ગાલ ઉપર એક ડાઘ પડવા દેતા નથી પણ તેઓ ભારતમાં ચૂંટણી ચાલે છે અને વાતો પાકિસ્તાનની કરીને પ્રજાને ગુમરાહ કરે છે.આજે મોંઘવારી, બેરોજગારી, આર્થિક મંદી, માથાભારે લોકોની જોહુકમી, લોકશાહીનું ચીરહરણ,જાતિવાદ, ભ્રષ્ટાચારમાં આમ પ્રજા પીસાઈ રહી છે પણ તેના વિશે હરફ બોલતા નથી. તેમજ પહેલા જમાનામાં ચોરી છુપીથી ભ્રષ્ટાચાર થતો આજે ખૂલે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
વેક્સિનની કંપની અને ગૌ માંસ વેચનારી કંપની પાસેથી પણ ભાજપે ફંડ લીધું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા ભાઈને શેહજાદો કહીને બોલાવે છે પરંતુ તેઓને ખબર નથી કે મારો ભાઈ ચાર હજાર કિલોમીટર પદયાત્રા કરી અને લોકોની સમસ્યાઓને સાંભળી છે અને સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે કોંગેસ અગાઉની જેમ કટિબદ્ધ છે. જે કોંગ્રેસના ન્યાય પત્રમાં જોઈ શકાય છે.તેમજ સરકારી કંપનીઓને પ્રાઇવેટ કંપનીઓ બનાવવા માટે પણ પોતાના પ્રયાસો ચાલુ છે.પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા -પાટણના ઉમેદવારને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી અને વધુમાં કહ્યું હતું કે તમે તમારી સમસ્યા જાણો તમારો વિકાસ જાણો અને તમારા સુધી લોકો વચ્ચે જે નેતા આવી શકે છે તેને મત આપો અને જે મોટા મોટા સ્ટેજ ઉપર અને મોટા મોટા માણસો જોડે સંબંધ રાખે છે તેમને મત આપવાનો કોઈ મતલબ નથી તેમજ પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોરને પોતાની બહેન ગણી અને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી.આ સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.તેથી ઠેરઠેર ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા.
અમુલ ,બનાસ ડેરી કોંગ્રેસના જમાનામાં શરૂ થઈ છે: પ્રિયંકા ગાંધીએ સહકારી માળખા ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે બનાસ ડેરી અને અમુલ છે તે કોંગ્રેસના જમાનામાં શરૂ થઈ છે અને અત્યારે ભાજપના નેતાઓએ એના ઉપર કબજો જમાવીને બેઠા છે ભાવનગરમાં ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પર કબજો જમાવ્યો છે ભાજપના નેતાઓને જ્યાં જેટલું મળે ત્યાં મફતમાં લેવામાં કોઈ બાકી રાખતા નથી.ઉદ્યોગપતિઓને પણ સરકાર મફતના ભાવે જમીનો પધરાવી રહી છે.
ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન થયું છે છતાં મોદીજી મૌન કેમ?: પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનું તેમના ઉમેદવાર રૂપાલાએ અપમાન કર્યું છે તેમજ ક્ષત્રિય સમાજે ઉમેદવારને હટાવવાની માંગણી કરી હતી પરંતુ ભાજપ દ્વારા તેમને હટાવવામાં આવ્યા નથી અને ક્ષત્રિયોનું જે અપમાન થયું છે તેમાં પણ મોદીજી મૌન રહ્યા છે.તે તેમની બેધારી નીતિનો બોલતો પુરાવો છે.