![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ગાવ-ચલો-અભિયાન-04-HED.jpg)
સી.એમ.નું ગાવ ચલો અભિયાન સંપન્ન:સી.એમ.એ તમામ સમાજ- વર્ગ સાથે યોજી ખાટલા બેઠકો
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું “ગાવ ચલો અભિયાન” શરૂ થયું છે. જેનો પ્રારંભ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવ્યો હતો. જેમાં વિવિધ સમાજ અને વિવિધ વર્ગો સાથે મુખ્યમંત્રીએ ખાટલા બેઠકો યોજી હતી. જેમાં ગ્રામજનોએ 100 ટકા ભાજપ તરફી મતદાન કરવાના સંકલ્પ લીધા હતા. ત્યારે ગાવ ચલો અભિયાન સંપન્ન કર્યા બાદ મુખ્યમંત્રી રવાના થયા હતા.
ગઈકાલે જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂત અને બનાસડેરીના ડિરેકટર દીનેશભાઈ ભટોળના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યારે આજે વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજી હતી. ગામના અલગ અલગ વિસ્તારોમાં મહોલ્લા બેઠક પણ સી.એમ.એ કરી હતી. સી.એમ.એ વહેલી સવાર થી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી આજના દિવસની શરૂઆત કરી છે. ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સી.એમ.એ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા છે. જેનું નિરાકરણ લાવવાની પણ ખાત્રી આપી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ યુવાનો, મહિલાઓ, બક્ષી પંચ, દલિત સમાજ સાથે કી-વોટર્સ સાથે પણ બેઠક યોજી હતી. જોકે, મુખ્યમંત્રી એ જલોત્રા ગામમાં દરેક વર્ગના લોકો વચ્ચે જઈ મુખ્યમંત્રીએ લોકસંપર્ક કરી ગાવ ચલો અભિયાનને સાર્થક કર્યું હતું. ગાવ ચલો અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરી તેઓ જલોત્રા થી પોતાના કાફલા સાથે રવાના થયા હતા.