![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/દાંતા-તાલુકાની-આંગણવાડીઓમાં-hed.jpg)
દાંતા તાલુકામાં 186 ગામડાની આંગણવાડીઓમાં 1 થી 6 વર્ષના નાના ભૂલકાઓ આ વેકેશનથી વંચિત
બાળકો બીમાર પડે તો અંતરિયાળ વિસ્તારમાં કોણ દોડશે ?? આ વખતે ઉનાળાની સીઝનમાં ગરમીનો પારો 46 ને પાર કરી ગયો છે ત્યારે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પડ્યું છે. ત્યારે બીજી તરફ આટલા ધમધોખતા તાપ વચ્ચે દાંતા તાલુકામાં 186 ગામડાની આંગણવાડીઓમાં એકથી 6 વર્ષના નાના ભૂલકાઓ આ વેકેશનથી વંચિત છે.
ખાસ કરી ને દાંતા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં બાળકોને માત્ર પોષણયુક્ત આહાર માટે બોલાવીને ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે જે રીતે માણસો 40 થી 45 ડિગ્રી ગરમી સહન કરી સકતા નથી ત્યારે સરકારે પણ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ ઉપર નહિ જવા આદેશ કરાયો છે સરકાર શ્રમિકોની ચિંતા કરતી હોય ત્યારે આ નાના ભૂલકાંઓનો શું દોષ છે ? ગરમીમાં ફૂલ જેવા નાજુક બાળકોને સવારના 10 .30 વાગ્યા સુધી આંગણવાડી માં બેસાડી 200 ગ્રામ પોષણયુક્ત આહાર માટે તેમની આકરી કસોટી શા માટે? જે રીતે કોરોના કાળમાં આંગણવાડીના બાળકોને ઘરે બેઠે પોષણયુક્ત આહારના પેકેટ મોકલવામાં આવતા હતા.
આંગણવાડીનાં કાર્યકરો પણ જણાવી રહ્યા છે કે આટલી ગરમીમાં આ નાના ભૂલકાઓ ને વેકેશન આપવું જોઈએ ,જો કોઈ બાળકોને એક સાથે લું લાગવાની કે પછી ઝાડા ઉલટી જેવી પરિસ્થિતિ બની જાય તો અમારે શું કરવું…? આમ પણ હાલ વાલીઓ બાળકો ગરમીથી બીમાર થઈ જવાના ડરથી મોકલતા નથી જેના કારણે સંખ્યા પણ ઓછી આવે છે જો સરકાર અમને કહેશે તો અમે બાળકોનો નાસ્તો ઘરે બેઠા પહોંચાડીશું તેવી ખાતરી પણ આપી રહ્યાં છે.
કેટલાક વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે કે મેં માસમાં જયારે ભારે ગરમી પડતી હોય છે તેવામાં આંગણવાડીમાં કાયમી ધોરણે વેકેશન જાહેર કરી બાળકોને આપતો પોષણયુક્ત આહાર ઘરે બેઠા મળે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
જોકે આજે જાણવા મળ્યાં મુજબ નવા ઓર્ડરમાં આંગણવાડીઓમાં સમય બદલીને સવારે 7 થી બપોરના 1 માં થોડો સુધારો કરીને સવારે 8 થી 10.30 કરવામાં આવ્યો છે પણ તેના બદલે સળંગ મે માસમાં ગરમીનાં દિવસોમાં વેકેશન આપવું જોઈએ જેથી જો ઘરે હોય તો બાળક ગરમીને લઇને બીમાર થાય તો તેના વાલી તાત્કાલિક સારવાર માટે લઇ જઇ શકે.