![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-317.jpg)
પાંથાવાડામાં સડેલા અનાજ મુદ્દે પુરવઠા વિભાગનું ચેકિંગ
(રખેવાળ ન્યૂઝ)દાંતીવાડા, બનાસકાંઠાના પાંથાવાડામાં ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજની દુકાનમાંથી કાંકરા મિક્સ અને સડેલું અનાજ વિતરણ કરાવતું હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમા સસ્તા અનાજની દુકાનના સંચાલકે દુકાનમાંથી લાભાર્થીને કાંકરાવાળું સડેલું અનાજ વિતરણ કરાયું હતું. જેમા સડેલું અનાજ હાથમાં આવતા જ લાભાર્થી રોષે ભરાયો હતો અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો જ વજન વધારવા કાંકરા મિક્સ કરી લાભાર્થીઓને છેતરતા હોવાના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલાને લઈ રખેવાળ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા બનાસકાંઠાનું પુરવઠા વિભાગ દોડતું થયું છે.
જેમાં દાંતીવાડા પુરવઠા વિભાગની ટીમે પાંથાવાડા ખાતે પહોંચી પાંથાવાડામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં આ અંગેની તપાસ હાથ ધરી હતી. ત્યારે દુકાનમાંથી ૧૦ જેટલા ચોખા તેમજ ૧૦ જેટલા ઘઉંના સડેલા અનાજના કટ્ટા મળી આવ્યા છે. જ્યારે બીજીતરફ સસ્તા અનાજની દુકાનના સંચાલક લાભાર્થીઓને પૂરતું અનાજ ન આપતા હોવાના આક્ષેપો કરતા પુરવઠા વિભાગની ટીમે લાભાર્થીઓના નિવેદનને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
શું સસ્તા અનાજની દુકાનના સંચાલકો વજન વધારવા અનાજમાં કાંકરાની ભેળસેળ કરે છે ? ા ગોડાઉનમાં તપાસ થાય તેવી માગ
આમ મહત્વની વાત એ છે કે, એકતરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવાની મસમોટી વાતો તો કરી રહી છે. પરંતુ તે વચ્ચે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સડેલું અને ભેળસેળયુક્ત અનાજ પૂરું પાડી સરકારના વચન ઉપર પાણી ફેરવી રહ્યા છે. ત્યારે શું સસ્તા અનાજની દુકાનના સંચાલકો વજન વધારવા અનાજમાં કાંકરાની ભેળસેળ કરે છે ?
ત્યારે પુરવઠા ગોડાઉનના સત્તાધીશો તે બાબતે યોગ્ય તપાસ હાથ ધરી વહેલી તકે આવા ગરીબોના કોળિયા સાથે છેડા કરી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે. આજે દાંતીવાડા પુરવઠા વિભાગની ટીમે પાંથાવાડા ખાતે પહોંચી પાંથાવાડામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં આ અંગેની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ સરકારી ગોડાઉનમાં તપાસ થાય તેવી માગ ઉઠવા પામી છે.