![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/બનાસકાંઠા-જીલ્લો-વર્ષોથી-પીવાના-yyy-hed.jpg)
બનાસકાંઠા જીલ્લો વર્ષોથી પીવાના પાણી માટે તરસ્યો : દૂર દૂર સુધી બેડા લઈ પાણી ભરવા માટે મજબૂર
ઉનાળામાં કેનાલ મારફતે પાણી આપવાનું બંધ કરતાં સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની મોટી સમસ્યા જિલ્લાનો સરહદી વિસ્તાર વર્ષોથી પીવાના પાણી માટે તરસી રહ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં નર્મદા કેનાલનું પાણી બંધ થતા સાથે જ સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. ત્યારે આ વર્ષે પણ નર્મદા કેનાલ બંધ થતાની સાથે જ ઉનાળાના સમયમાં પીવાના પાણીની વાવ તાલુકાના અનેક ગામોમાં વિકટ સમસ્યા સર્જાઇ હતી. જેને પહોંચી વળવા માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણીના ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. પરંતુ તેમ છતાં પણ એવા અનેક સરહદી ગામો છે. કે જ્યાં ટેન્કર પણ પહોંચતું ન હતું.
બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામને રણ વિસ્તાર માનવામાં આવે છે. જેથી મહિલાઓની સાથોસાથ પુરુષો પણ પીવાના પાણીની શોધમાં માથે ઘડો કે બેડું લઈને પદયાત્રા કરવા નીકળી પડે છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પીવાના પાણીને લઈ મહિલાઓમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં પાણી ન આવતું હોવાના કારણે ગામમાં પાણીની સમસ્યા સામે આવી છે. ત્યારે ગામની મહિલાઓ હાલ આવી ગરમીમાં પણ પોતાના પરિવાર સાથે દૂર દૂર સુધી બેડા લઈ પાણી ભરવા માટે મજબૂર બની છે. ત્યારે હાલ તો આ ગામની મહિલાઓ માંગ કરી રહી છે કે, તાત્કાલિક ધોરણે ગામમાં પીવાના પાણીની સમસ્યાનો હલ લાવવામાં આવે.
પીવાનું પાણી ન મળવાના કારણે લોકોને ભારે હાલાકી: ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ઉનાળામાં કેનાલ મારફતે પાણી આપવાનું બંધ કરતાં સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની મોટી સમસ્યા સર્જાતી હોય છે. જેમાં વાવ તાલુકાના ચોથાનેસડા, ચતરપુરા, લોદરાણી, લાપડીયા, બરડવી જેવા ગામોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાનું પાણી ન મળવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક તંત્ર દ્વારા કાયમી પીવાના પાણીની વ્યવસ્થા કરે: ચોથાનેસડા ગામના સ્થાનિક કે જણાવ્યું હતું કે, આ ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી છે. કોઈ દિવસ મોટર બળી જાયે કોઈક દિવસ પાઇપલાઇન તૂટી જાય ત્યારે પાણીની સમસ્યા સર્જાયે છે. જેથી પીવા માટે તથા અન્ય વપરાશ માટે પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન ઊભો થાય છે. ઘરે કોઈ મહેમાન આવે તો તેમને કેવી રીતે રાખવા એ પણ મોટી સમસ્યા બની જાય છે. તંત્રને વારેઘડીએ રજુઆત કરવી પડે છે. છતાં ચોથાનેસડા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યાનો અનેક વાર રજુઆત કરી પરંતુ આજદિન સુધી પાણી માટે કોઈજ નિકારણ આવ્યું નથી. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી અમારી માગ છે કે, સ્થાનિક તંત્ર દ્વારા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. આ સિવાય અમારે બીજું કશું જોઈતું નથી.