પાલનપુરના યુવકે વ્યાજખોર ના ત્રાસ સામે નોંધાવી ફરિયાદ વ્યાજે લીધેલા રૂ.5 લાખના 35 લાખ ચૂકવ્યા હોવાની રાવ
પાલનપુરના 40 વર્ષીય યુવકે વ્યાજે રૂ.5 લાખ લીધા હતા. જે નાણાં વ્યાજ સાથે રૂ.35.74 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરએ મકાન લખાવી લેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
પાલનપુરના જગાણા રોડ પર કર્ણાવત સ્કુલ પાસે આવેલી ચંદ્રલોક સોસાયટી ખાતે રહેતા 40 વર્ષીય વિનોદકુમાર કરશનભાઇ પરમારને નાણાંની જરૂર પડતા તેઓએ સદ્દામ ઉર્ફે અબ્દુલ રહેમાન મન્સુરીને વાત કરતા તેઓએ રફીકભાઈ પાસેથી રૂ.5 લાખ ઉછીના પેટે જાન્યુઆરી 2023માં અપાવ્યા હતા. જે રકમના બદલામાં ફરિયાદીએ 10 ટકા વ્યાજ લેખે પેનલ્ટી સહિત ઓનલાઈન અને રોકડ રકમ મળી કુલ રૂ.35,74,000 ચૂકવ્યા હતા.
જોકે, પઠાણી ઉઘરાણી બાદ પણ ફરીયાદીને ફસાવવા માટે મોટી બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીની મદદથી ષડયંત્ર રચ્યું હતું. વ્યાજખોર હજીપણ 45 લાખ રૂપિયાની બાકી ઉઘરાણી પેટે ઘર લખાવી લેવાની ધમકી આપતો હોવાની રાવ સાથે ફરિયાદી વિનોદભાઈ પરમારે આરોપી(1) સદ્દામ ઉર્ફે અબ્દુલ રહેમાન મન્સૂરી રહે.પાલનપુર (2) રફીકભાઈ રહે.પાલનપુર અને (3)કનુભાઈ સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.