![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/દિવ્યાંગજનો-અને-વૃદ્ધોને-HED.jpg)
દિવ્યાંગજનો અને વૃદ્ધોને મતદાન માટે અપાયેલ સુવિધાઓથી વાકેફ કરીને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મતાધિકાર પ્રત્યે સજાગ બની વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગજનો અને વૃદ્ધ મતદારો ઉત્સાહપૂર્વ ભાગ લે તે માટે મતદાન જાગૃતિ માટે રંગોલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલ પીડબ્લ્યુ ડી નોડલ ઓફિસર સહ સમાજ કલ્યાણ અધિકારી ચેતનાબેન ચૌધરી દ્વારા ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો તેમજ વૃધ્ધ મતદારો માટે ઊભી કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગજનો માટે સક્ષમ એપ, મતદાન માટે સાથી સહાયક, વ્હીલચેરની વ્યવસ્થા તેમજ વૃધ્ધ ભાઈઓ અને બહેનોને જરુર હોય તો વાહનની વ્યવસ્થાઓ વિશે જાણકારી આપી હતી.
આ રંગોત્સવ કાર્યક્રમમાં વિધામંદિર ટ્રસ્ટ તેમજ મમતા મંદિર સંચાલિત એમ કે મહેતા પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાલય, મા શ્રવણવાણી વિદ્યાલય અને આઈ આર મેહતા આનંદ નિકેતન વિદ્યાલયના કુલ ૨૭૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ તથા ૫૦૦ થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો.