![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/yyyyy.jpg)
પાલનપુરના જગાણા ગામે પ૦૦૦ લોકોને પીવાનું પાણી પૂરૂ પાડતી ટાંકી જર્જરિત હાલતમાં
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના જગાણા ગામે ગ્રામજનોને પીવાનું પાણી પૂરૂ પાડતી ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી જાનહાનિની ઘટના સર્જાય તેવી ભીતી છે. ત્યારે ગામમાં મોટી જાનહાનીની ઘટના સર્જાય તે પહેલા ટાંકીનું નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
ગુજરાત વિકાસ વિકાસ મોડેલના દાવા વચ્ચે પાલનપુર તાલુકાના જગાણા ગામે છેલ્લા ઘણા વર્ષોથી આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવા છતાં આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રની ઢીલી નીતિને કારણે આજદિન સુધી નવી ટાંકીનું નવીનીકરણ થઇ શક્યું નથી. જેને પગલે ગામના આનંદનગર સોસાયટી અને પ્રાથમિક શાળાના બાળકો તેમજ આસપાસમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અને ટાંકી જર્જરીત હોવાથી ગ્રામજનોને એકાએક ગમે ત્યારે પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે તેમ છે. છેલ્લા ૬૦ વર્ષથી જગાણા ગામે બનાવેલ પાણીની આ ટાંકી જુની અને જર્જરીત હાલતમાં હોવાથી ટાંકીની આસપાસ સરકારી પ્રાથમિક શાળા તેમજ સોસાયટીના રહીશોને જાહેર રસ્તો હોઇ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ ટાંકી વર્ષો જૂની હોવાથી અને જર્જરિત હાલતમાં હોઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ કોઇ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. ત્યારે આ બાબતે રજૂઆત કરવા છતાં પણ ટાંકીને તોડી પાડવાની જગ્યાએ તેને કલર કામ સહિત ખર્ચ કરી રહ્યા છે. પરંતુ ટાંકીનું નવીનીકરણ કરવામાં ન આવતા આ ટાંકી મોટી જાનહાનિ સર્જે તેવી ભીતિ છે. તેમજ લોકોને પાણીની પણ સમસ્યાનો સામનો એકાએક કરવો પડી શકે તેવી સંભાવના છે. ત્યારે આ બાબતને ગંભીર ન લઇ જાનહાની સર્જાય તે પહેલા આ ટાંકીનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવે તેવી જગાણા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.