![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ખાસ-હિમાયત-02-પા્.jpg)
અરવલ્લી જિલ્લામાં અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગેહાથ ઝડપી પાડ્યો
સરકારે શાળામાં બાળકોને જરૂરી પોષણ મળે તે માટે અલગ અલગ યોજનાઓ અમલી બનાવી છે અને શાળામાં બાળકોને પોષણક્ષમ શુદ્ધ આહાર સાથે અભ્યાસ થાય એ માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરેલી છે પણ સરકારી યોજનામાં આવતું મટીરીયલ સગેવગે કરવાના અનેક કૌભાંડો થતા હોય છે. આવી જ એક ઘટના ભિલોડાના નાપડા વણઝારા ફળિયામાં આવેલી પ્રા શાળામાં બનવા પામી છે.
અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગેવગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે. ભિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારની, પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પોચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા વોચ ગોઠવી આજે સવારે ટેમ્પોચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતારવાનું કહેતા ટેમ્પોચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પોચાલકે જણાવ્યું હતું. જોકે કોના દ્વારા આ બાળકોના અનાજના જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો હતો તે સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવેતો કૌભાંડ બહાર આવી શકે છે.