
રાધનપુર પાલિકા દ્વારા વેરા વસૂલી પુરજોશમાં : ૩.૨૮ કરોડ વેરો બાકી
રખેવાળ ન્યુઝ રાધનપુર : રાધનપુર શહેરમાં માર્ચ મહિનો આવતાં જ પાલિકા દ્વારા સાત ટીમો બનાવીને વેરાવસૂલી ઝુંબેશ એક અઠવાડિયાથી શરુ કરવામાં આવી છે. શહેરમાં કુલ ૧૧૮૦૦ મકાનો અને ૪૪૦૦ દુકાનો મળીને કુલ ૧૬૨૦૦ મિલ્કતો આવેલી છે, જેના વેરા પેટે રૂ.૪.૩૩ કરોડ જેટલો વેરો બાકી નીકળે છે, જેની સામે પાલિકાએ રૂ.૬૩ લાખનો વેરો વસુલ્યો છે, જયારે રૂ.૩.૨૮ કરોડ જેટલો વેરો ઉઘરાવવાનો બાકી નીકળે છે. શહેરના કેટલાક રીઢા બાકીદારો વર્ષોથી વેરો ભરતાના હોઈને પાલિકાને ના છૂટકે સીલ મારવા સુધીની કડકાઈ બતાવવી પડે છે,પરંતુ આ રીઢા બાકીદારો વેરો ભરતા હોતા નથી. પાલિકાના સત્તાધીશોએ આવા રીઢા બાકીદારો સામે કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે. પાલિકા દ્વારા ગતવર્ષે વેરાની ઉઘરાણી કર્યાં બાદ રૂ.૨,૫૫,૦૮,૩૩૩ જેટલો વેરો ઉઘરાવવાનો બાકી હતો, ચાલુ વર્ષનો રૂ.૧,૭૮, ૩૭,૨૯૮ માંગણું ઉમેરતાં કુલ રૂ.૪,૩૩,૪૫,૬૩૧ જેટલો વેરો ઉઘરાવવાનો બાકી નીકળે છે. જેની સામે ગત વર્ષે રૂ.૪૧,૮૦,૫૧૫ અને ચાલુ વર્ષે ૬૩,૦૦,૮૬૯ મળીને કુલ રૂ.૧,૦૪,૮૧, ૩૮૪ જેટલી વસુલાત કરવામાં આવી છે.આમ ગત વર્ષે કુલ રૂ.૨,૧૩,૨૭,૮૧૮ જેટલો વેરો બાકી હતો. જેમાં ચાલુ વર્ષનો રૂ.૧,૧૫,૩૬, ૪૨૯ ઉમેરતા કુલ રૂ.૩,૨૮,૬૪,૨૪૭ જેટલો વેરો ઉઘરાવવાનો બાકી નીકળે છે. જેના માટે પાલિકા પૂરજાશમાં ઝુંબેશ ચલાવી રહી છે. બાકી વેરામાં મિલકતવેરો, શિક્ષણ ઉપકર, દીવાબત્તી વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણીવેરો અને સફાઈવેરાનો સમાવેશ થાય છે.