મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં આડા સંબંધની આશંકાએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. વિજાપુરમાં રહેતો અને ફર્નિચરનું કામ કરતો અમિત નામનો યુવાન તેના શેઠ નિકુલ ઉર્ફે ગબ્બર સાથે રાત્રે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે મણીપુરા રોડ પર ત્રણ શખ્સોએ તેમનો રસ્તો આંતર્યો હતો. મુખ્ય આરોપી ચેતને પોતાની પત્ની સાથે અમિતના આડા સંબંધો હોવાના વહેમમાં ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. મામલો ઉગ્ર બનતા અને આરોપીઓ પાસે હથિયાર જોઈને જીવ બચાવવા દોડેલા અમિતને પકડીને તેની છાતીમાં ઉપરાછાપરી છરાના ઘા ઝીંકી દેવાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અમિતની કરપીણ હત્યા કર્યા બાદ પણ આરોપીઓનો રોષ શાંત નહોતો થયો અને તેમણે અમિતના શેઠ નિકુલ પર પણ પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. હુમલાખોરોએ લાકડી, પથ્થર અને છરા વડે નિકુલ પર પણ જાનલેવા હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા તેમજ વાહનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા નિકુલે જેમતેમ કરીને અમિતના ઘરે પહોંચીને પરિવારજનોને આ ભયાનક ઘટનાની જાણ કરી હતી. જુવાનજોધ પુત્રની લોહીથી લથબથ લાશ જોઈને પરિવારમાં ભારે શોક અને આક્રંદનું મોજું ફરી વળ્યું હતું.
આ ચકચારી હત્યાકાંડની જાણ થતાં જ વિજાપુર પોલીસ અને મહેસાણા એલ.સી.બી.ની ટીમો એક્શનમાં આવી ગઈ હતી. અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. હત્યા કરી બાઈક પર ગોઠવા તરફ નાસી છૂટવાની ફિરાકમાં રહેલા ત્રણેય આરોપીઓ - ચેતનજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને સિદ્ધરાજજી ઠાકોરને પોલીસે ગવાડા પાસે નાકાબંધી કરીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વહેમના કારણે આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા હાલ ત્રણેયને જેલહવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





