પોલીસે બાતમીના આધારે દબોચી લીધા : રૂપિયા 9,500 નો મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી કેબલ વાયર ચોરીની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ઊંઝા પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ચોરીમાં ગયેલા તાંબાના કેબલ વાયર સાથે બે રીઢા તસ્કરોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા બંને આરોપીઓ ચોરીનો સામાન ભંગારના ડબ્બામાં વેચવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસની બાજ નજરે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની વિગતો મુજબ, ઊંઝા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ એમ.કે. કાપડિયાની આગેવાનીમાં વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એએસઆઈ હર્ષદકુમાર અને કોન્સ્ટેબલ કુણાલકુમારને સંયુક્ત રીતે ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, ઊંઝા શક્તિનગર છાપરાની સામે હાઇવે રોડ પર બે ઇસમો ચોરીનો તાંબાનો કેબલ વાયર લઈને ઊભા છે અને તેને ભંગારમાં વેચી મારવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી આશરે 9.5 કિલોગ્રામ તાંબાનો કેબલ વાયર જપ્ત કર્યો છે, જેની કિંમત ₹9,500 જેટલી થાય છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં (1) બાદલભાઈ પ્રભુભાઈ ગુરુભાઈ દેવીપૂજક (ઉં.વ. 20) અને (2) અરવિંદભાઈ વરસંગભાઈ બાબુભાઈ દેવીપૂજક (ઉં.વ. 19) (બંને રહે. રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, શક્તિનગર છાપરા, ઊંઝા) નો સમાવેશ થાય છે. જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર)ને પકડવાનો બાકી હોઈ પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઈવના આદેશ અપાયા હતા. જેના પગલે ઊંઝા પીઆઈ જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કાપડિયા, એએસઆઈ હર્ષદકુમાર, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર, ભરતકુમાર, કોન્સ્ટેબલ કુણાલકુમાર, અલ્પેશકુમાર, અશોકભાઈ અને જશવંતસિંહે આ પ્રશંસનીય ઓપરેશન પાર પાડ્યું હતું.





