ચોમાસામાં વરસાદનો પ્રારંભ થશે ત્યારે આવકો સાવ ઠપ્પ થશે
યુધ્ધ વિરામ બાદ એક્સપોર્ટની કાગડોળે રાહ જોતા એક્સપોર્ટરો
વેપારીઓ પાસે માલોનો સ્ટોક પરંતુ આગળ વેચવાલી ન હોવાથી રૂપિયાનું ટર્નઓવર અટક્યું
ઊંઝા એપીએમસીમાં મસાલાની ચીજોની પુર્ણતાની ઘડીઓ ગણી રહી છે. જ્યારે ચોમાસામાં વરસાદનો પ્રારંભ થશે. ત્યારે આવકો સાવ ઠપ્પ થઈ જશે. ચોમાસાના ત્રણ મહિના બજાર સાવ સુસ્ત રહેશે. માત્ર વાયદાના આધારે ભાવોમાં વધઘટ જોવા મળશે. હાલ ઉંઝા એપીએમસીમાં હાલ જીરાની ૮ હજાર બોરીની આવકો જોવા મળી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૬૦૦ થી ૪૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ વિસ્તારોમાંથી આવી રહી છે. યુધ્ધને કારણે વૈશ્વિક મંદીને કારણે ભાવોનું વલણ ઘટાડા તરફી જોવા મળ્યું હતું. યુધ્ધની ઝપેટમાં ગલ્ફ દેશો આવી જતા એક્સપોર્ટ પર માઠી અસર જોવાઈ હતી. એક્સપોર્ટ અટકી પડતાં ભાવોમાં ઘટાડો નોંધાતા આવકો ઓછી રહેવા પામી હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં વેચવાલી ઓછી જોવા મળી હતી. પરંતુ બીજી તરફ જરૂરિયાત મંદ ખેડૂતો ઓછા ભાવે પણ જણસી વેચવા મજબૂર બન્યા હતા.
એક્સપોર્ટરો યુધ્ધ વિરામ બાદ એક્સપોર્ટની કાગડોળે રાહ જોઇને બેઠા છે. પરંતુ જે દેશો યુધ્ધની ઝપેટમાં આવી ગયા છે. તેવા દેશોનુ અર્થતંત્ર ઉભું થતાં અને ફરી ગાડી પાટા ઉપર ચડતાં વાર લાગે તેવું લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુ પુર્ણ થયા બાદ નવરાત્રીના તહેવારમાં એક્સપોર્ટર નીકળે તો ભાવમાં વધઘટ થાય તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાવો ન કે ન મળે તો પણ જરૂરિયાત મંદ ખેડૂતો દિવાળી કરવા માટે જણસી વેચવા સીવાય બીજો કોઈ વિકલ્પ નથી. જીરાનું ભવિષ્ય હાલ ડામાડોળ દેખાઈ રહ્યું છે. વેપારીઓ પાસે માલોનો સ્ટોક છે. અને આગળ વેચવાલી ન હોવાથી રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે.





