સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક ઇન. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં રોડની કામગીરી પૂર્ણ કરવા, મારકંડેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તા બાબતે, તલોદ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ઓવર બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને સર્વિસ રોડ બાબતે પ્રશ્ન કર્યા હતા. સાંસદ રમિલાબેન બારાએ આદિજાતી વિસ્તારમાં બાળકોના કુપોષણ અંગે, પોષણ ટ્રેકીંગ એપ્લીકેશન , બી.એસ.એન.એલ. નેટવર્ક, ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત મળેલી ગ્રાન્ટ, પી.એમ. મત્સ્ય સંપદા યોજના અંતર્ગત થયેલી કામગીરી અને તેના લાભાર્થી અંગે, શાળાઓમાં મધ્યાન ભોજનના શેડ, આદિજાતી વિસ્તારમાં વીજ કનેકશન સહીતના આદિજાતી વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ આદિજાતી વિસ્તારના ગ્રામ પંચાયતના મકાનના બાંધકામ વિશે પ્રશ્નો કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડ પહોળો કરવા, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ગાંભોઇ ખાતે ફ્લાય ઓવર પી.એચ.સી., પીપલોદી ફ્લાય ઓવર તેમજ પીપલોદી ખાતે થયેલ મહિલાના અકસ્માત મૃત્યુ માટે નેશનલ હાઇવે ઓથોરીટીને પ્રશ્ન કર્યા, શહેરમાં ટ્રાફિકની સમસ્યા, અંડર ગ્રાઉન્ડ વીજલાઇન, કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રીજ, ખેડતસીયા રોડ પર રેવલે ફાટક, પ્રોટેક્શન વોલ સહિતના લોકહીતના પ્રશ્નો રજુ કર્યા હતા.ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો રજુ કરાયા હતા. તેમજ આવનાર સમયમાં શાળા પ્રવેશોત્સવ અભિયાન તેમજ આદિજાતી વિસ્તારમાં તેમજ ઇડર, વડાલીના આદિજાતી પોકેટ વિસ્તારમાં તા. ૧૮ થી ૨૫ દરમિયાન વિશેષ અભિયાન અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીને ઘર આંગણે મળી શકે તે માટે સેવાસેતુ, હેલ્થ કેમ્પ યોજાશે જેના આયોજન અંગે ચર્ચા કરાઇ. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહિવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





