ભારતના રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભાના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સંદીપ પાઠકે અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે તેમણે હંમેશા પક્ષ અને અરવિંદ કેજરીવાલને પ્રથમ સ્થાન આપ્યું છે, પરંતુ હવે પક્ષ તેના મૂળ લક્ષ્યોથી ભટકી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે જે પાર્ટીને તેમણે લોહી-પરસેવાથી સિંચી હતી, તે હવે માત્ર અંગત ફાયદા માટે કામ કરી રહી છે. રાજ્યસભામાં AAP ના 10 માંથી 7 સાંસદો હવે ભાજપમાં ભળી જશે, જેમાં હરભજન સિંહ જેવા મોટા નામો પણ સામેલ હોવાની ચર્ચા છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં AAP નું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે અને ભાજપની શક્તિમાં મોટો વધારો થયો છે.
ચઢ્ઢાએ કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. અમે એવો નિર્ણય લીધો છે કે અમે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં ભેળવી દઈશું.
તેમણે કહ્યું- જે AAPને મેં મારા લોહી-પરસેવાથી સિંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે.






