પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગ દ્વારા શનિવારે ભારતીય હૉકીના મહાન ખેલાડી અને ‘હૉકીના જાદુગર’ તરીકે જાણીતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી.પોરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે મેજર ધ્યાનચંદના ભારતીય રમતજગતમાં રહેલા અદ્વિતીય યોગદાનને યાદ કરીને વિદ્યાર્થીઓને રમત ગમત, શારીરિક ક્ષમતા, શિસ્ત અને રાષ્ટ્રગૌરવના મૂલ્યોને જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયામક ડૉ. ચિરાગ ભાઈ પટેલે ભાવિ શારીરિક શિક્ષકોને ખેલ વ્યવસ્થામાં નૈતિકતા અને ભારતીયતાને કેન્દ્ર સ્થાને રાખીને હકારાત્મક સુધારા લાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “આવનારો સમય રમતગમત ક્ષેત્રનો છે”, તેથી ભાવિ શિક્ષકોએ સમયની માંગ પ્રમાણે પોતાના જ્ઞાન, કૌશલ્ય અને ટેકનોલોજીને સતત અપડેટ રાખવાં જરૂરી છે.સાથે જ સામાજિક જવાબદારી સમજી સમાજના વધુમાં વધુ લોકોને મેદાન અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડવાના કાર્યને ગતિ આપવા અપીલ કરી હતી.કાર્યક્રમમાં વિભાગના શિક્ષકો,સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી મેજર ધ્યાનચંદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.





