શંકાસ્પદ ઘીના નમૂના સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલાયા
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત ડેરી યુનિટ માંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલ્યા છે અને એકમને સુધારણા નોટિસ પણ ફટકારી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા ખોરાક સુરક્ષા તપાસ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર એન. જે. ત્રિવેદીએ સિદ્ધપુરના કાકોશી ગામે મોટા મદ્રેસા રોડ પર આવેલી મે. સર્વોદય ડેરીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન,મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત આ એકમમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાયું હતું. આથી, અધિકારી દ્વારા સ્થળ પરથી ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા.મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત આ એકમમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાયું હતું. આથી, અધિકારી દ્વારા સ્થળ પરથી ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા.
તપાસમાં એકમમાંથી લેબલ વગરના ઘીના ટીન મળી આવ્યા હતા. ફૂડ વિભાગે આ લેબલ વગરના ટીનમાં રાખવામાં આવેલું કુલ 74 કિલો ગ્રામ ઘી સીઝ કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 26,640/- છે. આ ઉપરાંત એકમમાં સફાઈ અને નિયમોના પાલનમાં અનેક ખામીઓ જોવા મળી હતી.આ ખામીઓને ધ્યાનમાં રાખીને ફૂડ બિઝનેસ ઓપરેટરને સુધારણા નોટિસ (Improvement Notice) આપવામાં આવી છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લેવાયેલા ઘીના નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જે લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ જ ઘી શુદ્ધ છે કે ભેળસેળ યુક્ત તે સ્પષ્ટ થશે.રિપોર્ટના આધારે FSSA, 2006 ની જોગવાઈઓ હેઠળ એકમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.





